મોરબી ત્રિપલ મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી સેશન્સ કોર્ટે જમીન વિવાદમાં થયેલી ત્રણ વ્યક્તિઓની હત્યાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 11 આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને 56 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2018ના ઓગસ્ટની 12મી તારીખે મોરબી નજીક લીલાપર ગામ પાસે બોરીયા પાટી વિસ્તારમાં આ ઘટના બની હતી. જમીન વિવાદમાં છ બાઈક પર આવેલા 12 શખ્સોએ લાકડી, પાઇપ અને ટામી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણની હત્યા થઈ હતી. મૃતક વ્યક્તિના પુત્ર વસિમભાઇ પઠાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટના જજ ડી.પી. મહિડાએ સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લીધા. 12 આરોપીઓમાંથી એક શિવાભાઈ રામજીભાઇનું જેલમાં અવસાન થયું હતું. બાકીના 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે આરોપીઓ પાસેથી વસૂલ થનાર દંડમાંથી મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. મોરબીમાં ચકચાર મચાવી દેનારા ત્રિપલ હત્યાના આ કેસમાં તમામે તમામ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે આવો ચુકાદો ન માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત આવ્યો હશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. કેમ કે, કોઈ એક ગુનામાં એકથી વધુ આરોપી હોય તો તેઓને ઓછી વધતી સજા કરવામાં આવે તેવું બનતું હોય છે પરંતુ આ કેસમાં તમામે તમામ આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ પરિવારે પણ કોર્ટના ચુકાદાથી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. મોરબીની સેશન્સ કોર્ટમાં હત્યાના કેસમાં જે ઐતિહાસિક ચુકાદો આવેલ છે તેમાં નજરે જોનાર સાક્ષી રૂકસાનાબેન દિલાવરખાન પઠાણ, હાફિઝાબેન દિલાવરખાન પઠાણ અને મહેઝબીનબેન મોમીનખાન પઠાણની તરફે મોરબીના સિનિયર વકીલ અરૂણભાઇ યુ. મહેતા રોકાયેલા હતા અને તેમણે આ કેસમાં 126 પાનાની લેખિત દલીલ તથા સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટના કુલ મળીને 31 જજમેન્ટો રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં ત્રિપલ મર્ડર કેસમાં આરોપીઓને સજા કરી હતી તેવી માહિતી વકીલ અરૂણભાઇ યુ. મહેતાએ આપેલ હતી. આ ચુકાદા બાદ ભોગ બનેલા પરિવારે અરૂણભાઇ યુ. મહેતાએ કરેલ મહેનત બદલ તેમની પ્રસંશા કરી હતી.