દર વર્ષે તા. ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે. માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે. પૃથ્વી થી મંગળ સુધીની વિકાસ યાત્રામાં સાયકલનું મહત્વનું યોગદાન રહેલું છે. ત્યારે સાયકલની મહત્તા દર્શાવતા કેટલાક ઉમદા ઉદાહરણ અત્રે ઉલ્લેખનીય છે.
પોસ્ટમેનના જીવન ચક્રને પૈડા માફક સતત પ્રગતિશીલ રાખતી સાયકલ
ટેક્નોલોજી સાથે માનવ જીવન સહીત અનેક વ્યવસ્થામાં પરિવર્તન આવતું હોઈ છે, પરંતુ એક વ્યવસ્થા હજુ એજ પરંપરાગત રીતે ચાલી રહી છે. એ છે ડાક સેવા. માત્ર ૨૫ પૈસામાં ટપાલ એક ગામથી બીજા ગામ પહોંચાડતી પોસ્ટ સેવામાં સાયકલ પોસ્ટમેનની ઓળખ બની રહી છે.
પોસ્ટમેનની સવાર પેડલ મારવા સાથે થાય છે. સવાર થાય અને ટપાલ, કવર સહીતની વસ્તુઓ લઈ પેડલ મારી સાયકલ પર સવાર થઈ સંદેશ એટલે કે ટપાલ ઘરે ઘરે પહોંચાડે છે રાજકોટના ૭ ડીલેવરી ઝોન પરથી ૧૩૦ પોસ્ટમેન.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યા બાદ ફર્સ્ટ ક્લાસ માલ જેમાં ટપાલ, ઇનલેન્ડનું પ્રમાણ ઘટી ગયું છે, પરંતુ સેકન્ડ ક્લાસ માલ જેમાં કાગળો, ચોપાનિયા, પેપર્સલ, રજીસ્ટર વગેરેનું હજુ મોટા પાયે પ્રમાણ ચાલુ હોવાનું હેડ પોસ્ટ ઓફિસના પબ્લિક રિલેશન ઇન્સ્પેકટરશ્રી કે.બી. ચુડાસમા જણાવે છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે.. ૨૪ વર્ષથી સેવારત પોસ્ટમેન વજીદભાઈ બગથરીયા જણાવે છે કે અમે રોજના ૧૦૦થી વધુ રજીસ્ટર તેમજ તેટલાજ પ્રમાણમાં ટપાલ વગેરેનું ઘરે અને ઓફિસમાં વિતરણ કરીએ છીએ. રોજનું ૧૫ કી.મી. જેટલું સાયકલિંગ સામાન્ય રીતે થઈ જતું હોવાનું તેઓ જણાવે છે.
દિવ્યાંગજનોના સ્વપ્નને આકાશી ઉડાન પુરી પાડતી ટ્રાઇસિકલ
દિવ્યાંગજનો સામાજિક બોજ ન બની રહે અને તેમની કારકિર્દી ચારે દિશામાં ઝળહળે તે માટે સામાન્ય માણસની જેમ સતત દોડતા રહેતા દિવ્યાંગના જીવનમાં તેમના પગનો વિક્લપ સમાન ટ્રાઈસિકલની શોધ પણ તેટલીજ મહત્વની છે. પગેથી હેન્ડીકેપ દિવ્યાંગજનોને પરિવહનમાં ટ્રાઈસિકલ ખુબ મદદરૂપ બને છે. હાલ તેના એડવાન્સ વર્જન વહીલચેરનો ઉપયોગ વિકલાંગ તેમજ દર્દીઓ માટે પણ અતિ મહત્વનો સાબિત થઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ શરુ કરાયો છે. જેની ફલશ્રુતિ રૂપે અનેકે દિવ્યાંગ ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે તેમની પ્રતિભા દેખાડી શક્ય છે.
દિવ્યાંગજ્નોને રમતગમત ક્ષેત્રે પણ તેમની પ્રતિભા દેખાડી શકે તે માટે ટ્રાઈસિકલ મદદરૂપ બની છે. જેનું એક જવલંત ઉદાહરણ છે મહિલા ખેલાડી સોનલ વસોયા. રાજકોટ જિલ્લાના જામકંડરોના તાલુકાના નાનકડા રાયડા ગામથી રાજકોટ ભણતર માટે આવેલી સોનલ વસોયા વર્ષ ૨૦૧૧ માં ખેલ મહાકુંભ થી ગોળા ફેક અને ચક્ર ફેંક, બરછી ફેક સહિતની રમતમાં તેનું કૌશલ્ય દેખાડી આજે વહીલચેર પર બેસી દેશ વિદેશમાં અનેક સ્પર્ધામાં ભાગ લઈ મેડલો જીતી ચુકી છે.
કમરથી નીચેના ભાગે વિકલાંગ સોનલને ચાલવાની તકલીફમાં પગથી વિશેષ મહત્વનું યોગદાન તેની વહીલચેરનું છે. વહીલચેરના સહારે ઓલ્મપિક કે એશિયન કોમનવેલ્થમાં મેડલ જીતના સ્વપ્ન સેવતી પેરા એથ્લેટીક્સ સોનલ વસોયા કહે છે કે, હું પગથી વધુ વહીલચેર પર દોડી શકું છું.સોનલ જેમ અનેક દિવ્યાંગો ટ્રાઈસિકલના સહારે જીવન ગતિમાન રાખી સ્વપ્ન પુરા કરી રહ્યા છે.
“માણસનું ખુશહાલ જીવન એટલે સાયકલના બે પૈડા: તંદુરસ્ત તન અને મન”
– ડો. પારસ જોષી, ફિઝીયોથેરાપીસ્ટ, પી.ડી.યુ.સિવીલ રાજકોટ
સાયકલીંગ એ હૃદય, ફેફસા અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. કારણ કે શરીરમાં આવેલા મોટા સ્નાયુઓ કમર અને પગના ભાગમાં હોય છે. સાયકલીંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે એટલે આખા શરીરને ઓક્સીજન અને લોહીની જરૂર પડે છે. જે હૃદય અને ફેફસા પુરા પાડે છે. આ સાથે જ મગજને પુરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેને મેડિકલ ભાષામાં હેપ્પી હોર્મોન કહેવાય અને આ હોર્મોનથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ રહે છે જેથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામા વધારો થાય છે.
જે માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તેની ઈમ્યુન સિસ્ટમ ખુબ સારી હોય જેથી તે બિમાર પડતો નથી. જો કદાચ બીમાર પડે તો પણ તે વ્યક્તિની રીકવરી અન્યોની સરખામણીએ ખુબ ઝડપી હોય છે. આમ જોઈએ તો “માણસની ખુશહાલ જીવન સાયકલના બે પૈડા એટલે તંદુરસ્ત તન અને મન”
કોઈપણ વ્યક્તિને રોજની ૩૦ મિનિટ સુધી સાઈકલિંગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ અથવા અભ્યાસ કરવા બેસતા પહેલા ૨૦ મીનીટ જેટલુ સાયક્લીંગ અને દસ મિનિટનું મેડીટેશન અચુક કરવું જોઈએ. જેનાથી તેમની એકાગ્રતામાં વધારો થશે. જે તેમના પરફોર્મન્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેમ ડોક્ટર પારસ જોષીએ જણાવ્યું હતું
સાયકલિંગ વધારવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ સવલત
સાયકલિંગને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨ થી ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત બે લાખ થી વધુ લોકોએ સાયકલ ચલાવવાનો લાભ લીધો છે. વાર્ષિક ૨૨ હજાર જેટલા લોકો સાયકલ શેરીંગ પ્રોજેક્ટનો લાભ મેળવે છે. સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા રોજના એક કલાક સાયકલ ચલાવવા માટે કોઇપણ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી પરંતુ એક કલાક બાદ પ્રતિ કલાક બે રૂપિયાનો ચાર્જ વસુલ કરવામાં આવે છે. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના રહેવાસીઓ 24 ઇંચ થી મોટા વ્હીલની સાયકલ ખરીદે તો તેમને હજાર રૂપિયાની સબસીડી ચૂકવવામાં આવે છે. આ માટે ઓનલાઇન એપ્લિકેશન કરીને જરૂરી ડોક્યુમેન્ટ કોર્પોરેશનની વેબસાઇટ પર સબમિટ કર્યા બાદ ૬૦થી ૯૦ દિવસમાં સબસીડી ચૂકવવામાં આવે છે અને અત્યાર સુધીમાં ૪૫૦૦ થી વધુ લાભાર્થીઓને સબસીડી ચૂકવવામાં આવી છે તેમ પ્રોજેકટ ઇનચાર્જ વત્સલ પટેલે જણાવ્યું હતુ.
સાયકલને રોજીંદા જીવનમાં અપનાવવા માટે તથા જે લોકો રોજીંદા જીવનમાં અપનાવી નથી શકતા તે લોકોને ઓછામાં ઓછુ અઠવાડીયામાં એક દિવસ સાઇકલ ચલાવવા માટે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સપોર્ટ આપવા માટે પ્રતિ શુક્રવાર પોતે સાઇકલ ચલાવીને ઓફિસ આવે છે. એમની સાથોસાથ કોર્પોરેશનનો અન્ય સ્ટાફ પણ સાઇકલ ચલાવીને ઓફિસ આવે છે. સાઇકલીંગથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા, ઓનરશીપની ભાવના જાગે, ગ્રીન રાજકોટ-ક્લીન રાજકોટ અંતર્ગત પોલ્યુશન ઘટાડી શકાય ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરી શકાય તથા પાર્કિંગની સ્પેસનો મહત્તમ ઉપયોગ કરી શકાય તથા લોકોની શારીરિક માનસિક તંદુરસ્તી અને સુખાકારી વધારો થાય તેવા ઉદ્દેશ્યથી સાયકલ ચલાવવી જરૂરી છે.