ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ નગરપાલીકાના વોર્ડ ન.10 ના મહીલા નાગરીક આશા ચાવડાએ પોતાના વિસ્તારમા ગટરો બંધ કરવી તેમજ ગંદકી બાબતે પાલીકા પ્રમુખથી લઈ વડાપ્રધાન સુધી રજૂઆત છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે પરંતુ માત્ર કાગળ પર જવાબો સિવાય કોઇપણ નક્કર કામગીરી આજદિન સુધી જોવા મળી નથી. વેરાવળના હદયસમા વિસ્તાર એવા તપેશ્ર્વર મંદિર રોડ જે શહેરની મુખ્ય સટ્ટાબજારને જોડતો રોડ છે અને ત્યાંથી દરરોજ હજારો મહિલાઓ, બાળકો અને શહેરીજનો તેમજ આસપાસના ગામના લોકો અવર જવર કરતા હોઈ છે.આ વિસ્તારમા રહેતા લોકોની રજૂઆત છે કે ખુલ્લી ગટરો છે તેમને ઢાકણાથી બંધ કરવામા આવે જેથી ગંદકી અને રોગચાળો ન થાય. ખુલ્લી ગટરોમા સાફ સફાઇ થતી નથી અને લોકોના કચરા પડવાથી ભરાઇ જાય છે અને ઉભરાઇ આવતા ગંદુ પાણી બહાર આવે છે જેની રજૂઆત અવારનવાર આ વિસ્તારના નગરસેવકો ,પાલીકા પ્રમુખ, ચીફ ઓફિસર, મુખ્યમંત્રી, શહેરીવિકાસ મંત્રીથી લઈ વડાપ્રધાન સુધી લેખીત કરેલ છે.તેમ છતા આ સમસ્યાનુ નિવારણ આવ્યુ નથી.અંતે ફરી આ વિસ્તારની મહીલાઓ એકઠી થઈ નગરપાલીકાને આવેદનપત્ર પાઠવ્યુ છે અને આવનારા સમયમા આ સમસ્યાનુ નિરાકરણ નહી આવે તો લોકસભાની ચુટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારેલ છે.