સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ આપશે ભાવાંજલી: આજે સાંજે રાજયપાલની હાજરીમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન: ખેડા જીલ્લાને રૂા.118.54 કરોડના 218 વિકાસ પ્રકલ્પોની સોગાદ
સંત, સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદમાં 78માં સ્વતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી થનાર છે. જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર તમામ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ નડિયાદના મહેમાન બનશે.
- Advertisement -
આજે સાંજના 4 કલાકે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરના યોગી ફાર્મ ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમમાં રાજયપાલ તેમજ મુખ્યમંત્રી સહભાગી થશે. ત્યારબાદ સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ડાકોર રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ખેડાનું ખમીર સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
આ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેડા જિલ્લાના પ્રાગૈતિહાસિક યુગથી લઈ સમકાલીન ખેડા જિલ્લાના વિકાસની વાતને આવરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં સ્થાનિક નડિયાદ કલા મંદિરના 40 સહિત 225થી વધુ નાટક નૃત્ય કલાકારો સાથે આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે.
આ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાઓનું શાલ અને બહુમાનપત્ર આપી સન્માન કરવામાં આવશે.
- Advertisement -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ અવસરે ખેડા જિલ્લાના રૂા.118.54 કરોડના 218 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેને પરિણામે જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે.
આ અવસરે રાજયપાલ તેમજ મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત ખમીરવંતુ ખેડા અને ખંતીલું ખેડા જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરશે.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર, રાજય પોલીસવડા વિકાસ સહાય, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા
ખ્યમંત્રી સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યકમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના કાર્યક્રમોની શરૂઆત કરશે. ત્યારબાદ સંતરામ મંદિરના દર્શન કરવા ઉપરાંત નડિયાદના હિંદુ અનાથ આશ્રમની મુલાકાત પણ લેશે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં નડિયાદમાં આયોજીત એટ હોમ કાર્યક્રમમાં પણ ભૂપેન્દ્ર પટેલ જોડાશે. મુખ્યમંત્રી 78માં સ્વતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત પોલીસ દ્વારા નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ મોડી સાંજે રાજયપાલની ઉપસ્થિતિમાં 118 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ગુરૂવારે સવારે 8-58 કલાકે નડિયાદના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે. અને રાજયના નાગરિકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે.