પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શકતા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગથી માત્ર ચાલવું જ નથી, દોડવું પણ છે.
મજબૂત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવું નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યું. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મૂકી દીધુ.
1992માં ફૌઝા સિંહના પત્નીનું અવસાન થયું. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નીની વિદાયનું દુ:ખ હળવું કરવા મનને બીજી કોઇ દિશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યું. લોકોએ કદાચ એના આ વિચારને ગાંડપણ સમજ્યું હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરૂ કર્યું. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેક્ટિસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
આ ઉમર તો પથારીમાં પડ્યા પડ્યા ઉંહકારા કરવાની અને જાત-જાતની ફરિયાદો કરવાની હોય પણ ફૌઝાસિંહે પોતાની જાતને મેરેથોન માટે તૈયાર કરી. 93 વર્ષની ઉંમરે એણે 26.2 માઇલનું અંતર 6 કલાક અને 54 મિનિટમાં પૂરું કરીને આખી દુનિયાને આશ્વર્યમાં મૂકી દીધી. પછી તો દુનિયાના કેટલાય દેશોમાં મેરેથોનમાં ભાગ લીધો. ફૌઝા સિંહની ઉંમર અત્યારે 108 વર્ષની છે. આ ઉંમરે પણ આ દાદા રોજના 15 કીમી જેટલું દોડે છે.
ફૌઝાસિંહને જ્યારે એમની આ તંદુરસ્તીનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું, જીવનમાં બનતી સારી કે નરસી બાબતોનો સહજ સ્વીકાર કરીને આનંદથી જીવન જીવતા શીખો અને ભોજનમાં સંયમ રાખો. મેં આજ સુધી ક્યારેય શરાબ કે સિગરેટ પીધા નથી અને હંમેશા શાકાહારી ભોજન જ લઉ છું. તળેલા પદાર્થોને ક્યારેય હાથ નથી અડાડતો અને પાણી ખૂબ પીઉ છું. હંમેશા આનંદમાં રહું છું અને ભગવાન મારી સાથે જ છે એવું માનીને ભગવાન સાથે વાતો પણ કરું છું.
શારીરિક તકલીફોની ફરિયાદો કરવાને બદલે એ તકલીફ દૂર કરવા માટે સંકલ્પબદ્ધ થઈને યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો પરમાત્મા પણ રાજી થઈને સહાય કરતા હોય છે. સફળતાને ઉમરના કોઈ બંધનો બાંધી શકતા નથી.
ઉમરના સીમાડાઓ ઓળંગતી સફળતા
