શાળાઓએ સાગઠિયાને રૂપિયા જમાડીને ગેરકાયદે બાંધકામો ખડક્યા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. જેમાં ઈમ્પેક્ટ ફીનાં નામે શાળા અને કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવાનો છૂટો દોર અપાયો હોવાનું સામે આવ્યું હતું. 80 જેટલી શાળા-કોલેજો અને હોસ્પિટલ બિલ્ડિંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાય હોવાનું સામે આવ્યું હતું. આવી 100થી વધુ શાળાઓ હોવાનો સ્વીકાર કરી સ્ટેન્ડિંગ ચેરમેને તાત્કાલિક નોટિસ આપી કાર્યવાહીનાં આદેશો આપ્યા છે. મનપાનાં પૂર્વ ટીપીઓ સાગઠિયા હાલ જેલમાં છે. તેણે અગાઉ ઇમ્પેક્ટ ફી હેઠળ આવા અનેક જોખમી બાંધકામ કાયદેસર કરી આપ્યા હતા. ખરેખર ઈમ્પક્ટ ફી રેગ્યુલર બાંધકામમાં થતા ફેરફાર માટે હોય છે. પરંતુ સાગઠિયા દ્વારા રૂપિયા કમાવા માટે અનેક શાળા-કોલેજોનાં ડોમ ઈમ્પેક્ટ ફીનાં કાયદા હેઠળ કાયદેસર કરવામાં આવ્યા હતા. આ કારણે બિનકાયદેસર રીતે અનેક શાળાઓએ પ્લાસ્ટિકનાં ડોમ ખડકી ઇમ્પેક્ટ ફી ભરી હતી. હાલમાં પણ આવી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? સાગઠિયાએ રૂપિયા બનાવવા માટે લોકોની સુરક્ષા સાથે ચેડા કર્યા છે. ત્યારે આવા ડોમની ઈમ્પેક્ટ ફી રદ કરી આવા બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માગ છે.
આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં આ પ્રકારના જોખમી બાંધકામો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આ પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટનાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ અંગે વહીવટી તંત્રને રજુઆત કરવામાં આવી હતી. જેમાં 700 કરતા વધુ શાળાઓમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ છે. જે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોખમી છે. રજુઆત બાદ વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને મનપા દ્વારા આવા ડોમ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં ફાયર એનઓસી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળા-કોલેજ, હોસ્પિટલ-રેસ્ટોરન્ટ સહિતનાં સ્થળોએ ચેકિંગ હાથ ધરીને ફાયર એનઓસી, ફાયરનાં સાધનો ના હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી હતી. ફાયર એનઓસી ઝુંબેશમાં સાગઠિયાના કાળમાં શાળા, કોલેજ, હોસ્પિટલ સહિતનાં સ્થળે ઈમ્પેક્ટ ફી હેઠળ જોખમી બાંધકામોને કાયદેસર કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે.
સ્ટેન્ડિંગ ચેરમેનની ખાતરી: ઈમ્પેક્ટ ફી ભરી હશે તો પણ ગેરકાયદે ડોમ તોડી પડાશે
- Advertisement -
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મનપા તંત્ર કટિબદ્ધ: જયમિન ઠાકર
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ડોમ બાંધી ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી હોય તેવી 100 કરતા વધુ શાળાઓ હોવાનું સામે આવ્યું છે. આ તમામ શાળાઓને નોટિસ આપી નિયમ મુજબ કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આવી બધી શાળાઓ પરથી ડોમ હટાવી લેવામાં આવશે. જો ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી હોય તો તે પરત આપીને પણ આવા ડોમ હટાવવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મનપા તંત્ર કટીબદ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે-તે સમયે વેકેશન ખૂલતું હોવાથી બીયું પરમિશન વિના શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, ફાયર એનઓસી વિના એક પણ શાળા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. કેટલાક ટાઉન પ્લાનિંગ એક્ટ અમલમાં આવ્યા પહેલાના એટલે કે, 35 વર્ષ જૂના શાળા બિલ્ડિંગોને બીયું વિના ખોલવા મંજૂરી આપવામાં આવી હતી. પણ ફાયર એનઓસી તો બધા પાસે લેવડાવવામાં આવ્યું છે. આમ છતાં કોઈપણ સ્થળે મંજૂરી વિનાની શાળાઓ ચાલતી હશે તો તેને પણ બંધ કરાવવામાં આવશે.