મુસાફર હિત રક્ષક સમિતિની રજૂઆતને પગલે સરકાર એક્શનમાં; નિયમોના ઉલાળિયા બદલ ડેપો મેનેજર સામે કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઢેબર રોડ પર આવેલા એસ.ટી. બસ પોર્ટમાં મુસાફરોને ફરિયાદ બુક ન આપીને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગ સામે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કડક તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય રજૂઆત બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ડેપો મેનેજર દ્વારા મુસાફરોને લેખિત ફરિયાદ કરવા માટેની ફરિયાદ પોથી આપવા પર મૌખિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ફરિયાદ બુક માંગનાર સામે ઋઈંછ કરવા સુધીની તાનાશાહી આચરવામાં આવી હતી. આ ગંભીર બાબતની જાણ થતા મુખ્યમંત્રી કાર્યાલયે 5 ફેબ્રુઆરી 2026ના રોજ રાજ્યના અધિક મુખ્ય સચિવને આ મામલે તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા અને તેની વિગતો મુખ્યમંત્રી કાર્યાલયમાં જમા કરાવવા આદેશ કર્યો છે.
વિભાગીય નિયામક દ્વારા અગાઉ વર્ષ 2023 અને 2025માં લેખિત આદેશો કરવા છતાં ડેપો મેનેજરે તેનું પાલન કર્યું નથી અને પોતાની મરજી મુજબ ડેપો ચલાવી રહ્યા છે. તાજેતરમાં તલગાજરડા-દ્વારકા રૂટની બસમાં ફ્રન્ટ ગ્લાસ તિરાડ વાળો હોવા છતાં તેની ફરિયાદ કરવા માટે મુસાફરોને બુક આપવામાં આવી ન હતી. આ ઉપરાંત 22 ડિસેમ્બર 2025ના રોજ ડેપો મેનેજર દ્વારા એવો નવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે ટિકિટ હશે તો જ ફરિયાદ બુક આપવામાં આવશે, જે નિગમના નિયમોની વિરુદ્ધ છે. ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ અને દિલીપભાઈ આસવાણી સહિતના આગેવાનોએ માંગ કરી છે કે ડેપોના સીસીટીવી ફૂટેજ ચકાસીને સિનિયર ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલર સુરેશભાઈ દલસાણીયા સામે કડક પગલાં લેવામાં આવે. જામનગર વિભાગમાં આવી જ બેદરકારી બદલ ટ્રાફિક કંટ્રોલર સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં પણ તટસ્થ તપાસ કરી જવાબદારોને સજા અપાવવા મુસાફર સમિતિએ મક્કમતા દર્શાવી છે.



