જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ’સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓ સંદર્ભમાં બેઠક યોજાઇ
સાગર આરતી સાથે નૃત્ય સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ હોવા સાથે સમગ્ર દેશમાં પરમ શ્રદ્ધેય સ્થાન છે. મહાશિવરાત્રી દરમિયાન દેશભરમાંથી અહીં શ્રદ્વાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે વધારે છે. દેશ દેશાવરથી આવતાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને કલા વૈભવથી પણ પરિચિત બને તેવા ભાવ સાથે કલા સાથે આરાધનાના સંગમરૂપ ત્રી-દિવસીય (આગામી તા.24, 25 અને 26 ફેબ્રુઆરી) દરમિયાન ’સોમનાથ મહોત્સવ’નું આયોજન કરવામાં આવનાર છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેફલાં પ્રાંગણમાં યોજાનાર મહોત્સવની તૈયારીઓના સંદર્ભમાં આજે બેઠક પ્રાંત કચેરી, વેરાવળ ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં કલેકટરએ ત્રણ દિવસના મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપવા માટે જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું. આ બેઠકમાં જુદા-જુદા સ્થળોએ વેલકમ ગેઇટ, સિમ્બોલિક ગેઇટ, અગ્નિશામક સાધનો, આરોગ્યને લગતી પ્રાથમિક સારવાર, વીજ જોડાણ, પાણી પુરવઠો, કાયદો અને વ્યવસ્થા, જરૂરી ટ્રાફિક નિયમન, પાર્કિંગ, ગ્રાઉન્ડ ખાતે સાફ-સફાઇ સંબંધિત આનુષાંગિક વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનાઓ કલેકટર શ્રી એ વિવિધ વિભાગના અધિકારીઓને આપી હતી. આગામી તા.24, 25 અને 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ મહોત્સવમાં નૃત્ય સહિતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવનાર છે. જેનાથી શ્રદ્ધાળુઓને આરાધના સાથે શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાને જાણવાનો અને માણવાનો અવસર ઉપલબ્ધ થશે.
આ મહોત્સવ દરમિયાન જે રીતે ’ગંગા આરતી’ કરવામાં આવે છે. તે જ તર્જ પર સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ’સાગર આરતી’ નું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા ખજુરાહો મહોત્સવ, કોનાર્ક મહોત્સવની જેમ સોમનાથ ખાતે મહાશિવરાત્રી દરમિયાન આ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.