રાજકોટ, જામનગર, અમદાવાદ, દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, અબડાસા, નખત્રાણા ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં માવઠું
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર ખંભાળિયા કચ્છ જિલ્લામાં અબડાસા નખત્રાણા ભુજ અને અમદાવાદ તથા રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 થી 95 ટકા વચ્ચે છે અને સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આ પ્રકારના વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનનો પારો સામાન્યથી ત્રણ ડિગ્રી કેટલો નીચે ઉતરી ગયો છે અને તેના કારણે ઠંડી અનુભવાય છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ માવઠાનો માહોલ હજુ યથાવત્ રહેશે અને સૌરાષ્ટ્ર્રમાં સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્રારકા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીજા દિવસે માવઠાનો વ્યાપ વધશે અને દક્ષિણ ગુજરાતના જીલ્લાઓનો પણ તેમાં સમાવેશ થઈ જશે.
બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા ડીસા લખની અને ભાભરમાં પ્રમાણમાં નોંધપાત્ર વરસાદ થયો છે અને વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનની અસરના ભાગપે અરબી સમુદ્ર તરફથી ભેજવાળા વાદળો ખડકાઈ રહ્યા છે અને તેના કારણે ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી ગયું છે.
આજે સવારે રાજકોટમાં 86 ટકા ભેજ નોંધાયો હતો વેરાવળમાં 85 ભુજમાં 91 દ્રારકામાં 86 વડોદરામાં 85 અમદાવાદમાં 92 અને ડીસામાં 91 ટકા ભેજ આજે સવારે નોંધાયો છે.
- Advertisement -
લઘુતમ તાપમાનમાં સામાન્યથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા આજે રાજકોટમાં લઘુતમ તાપમાન 17.7 ડિગ્રી થઈ ગયું છે જે ગઈકાલે 19.5 ડીગ્રી હતું ભુજમાં 15.9 નલિયામાં 15.2 કંડલામાં 18 અને ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.