નવા પગલાની લાંબાગાળે ઘણી મોટી અસર થયાનો ચીફ જસ્ટીસનો દાવો; ઓટોમેટેડ મેસેજ મળશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
સુપ્રીમ કોર્ટે ડિજિટાઈઝેશનની દિશામાં મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરી છે. ચીફ જસ્ટીસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલત વકીલોને કેસની સુનાવણીની તારીખ સહિતની વિગત વોટસએપ મેસેજ દ્વારા આપશે.
ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, ‘નવા પગલાની બહુ મોટી અસર થશે. તે કાગળ અને પર્યાવરણની રક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. વકીલોને કેસની સુનાવણી અને કોઝ લિસ્ટની વિગત વોટસએપ દ્વારા મળશે.’ કોઝ લિસ્ટ એટલે જે તે દિવસે કોર્ટમાં સુનાવણી થનારા કેસોની વિગત. ચીફ જસ્ટીસે નવ જજોની બેન્ચ સમક્ષ કોર્ટની ઈન્ફર્મેશન અને કમ્યુનીકેશન્સ ટેકનોલોજી (આઈટીસી)નું વોટસએપ સાથે ઈન્ટીગ્રેશન કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટ તેના 75માં વર્ષમાં નાના પગલાની શરૂઆત કરી રહ્યું છે.
તે લાંબાગાળે બહુ મોટી અસરની સંભાવના ધરાવે છે. ન્યાયતંત્રમાં પારદર્શકતા વધારવા અને લોકો માટે ન્યાયની ઉપલબ્ધતાના હકને મજબૂત બનાવવા સુપ્રીમ કોર્ટે તેની આઈટી સર્વિસીસ સાથે વોટસએપના ઈન્ટીગ્રેશનની જાહેરાત કરી છે.’(ચીફ જસ્ટીસ ચંદ્રચૂડે નવી પહેલની વિગત આપતા જણાવ્યું હતું કે, ‘એડવોકેટસ ઓન રેકોર્ડસ (એઓઆર) અને કેસમાં રૂબરૂ હાજર થનારા પક્ષકારોને કેસના ઈલેકટ્રોનીક ફાઈલિંગ, કોઝ લિસ્ટ, આદેશ અને ચુકાદા અંગે ઓટોમેટેડ મેસેજ મળશે. રજીસ્ટ્રી દ્વારા કોઝ લિસ્ટ બાર એસોસીએશનના તમામ સભ્યોને પણ વોટસએપ દ્વારા મોકલાશે.’ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની પહેલને વધુ એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.