ન્યૂક્લિયર પાવરવાળા દેશના નેતાને આ શોભતું નથી, ઙખ મોદીએ ગઈકાલે કહ્યું હતું- શાંતિથી રોટી ખાઓ, નહીંતર મારી ગોળી તો છે જ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પીએમ મોદીએ જે રીતે હિંસા વિશે વાત કરી એ એક ન્યૂક્લિયર પાવરવાળા દેશના નેતાને આ શોભતું નથી.ખરેખરમાં PM મોદીએ સોમવારે ગુજરાતમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે જે કોઈપણ ભારત પર ખરાબ નજર નાખશે તેને કોઈપણ કિંમતે છોડવામાં નહી આવે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે સુખેથી જીવો, શાંતિથી રોટી ખાઓ, નહીં તો મારી ગોળી તો છે જ. મોદીનું નિવેદન માત્ર નફરત ફેલાવતું નથી, પણ પ્રાદેશિક શાંતિ માટે પણ જોખમી છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ, પરંતુ જો અમને ધમકી આપવામાં આવશે તો અમે પણ એનો જવાબ આપીશું.
- Advertisement -
પાકિસ્તાનના પીએમ ભારત સાથે વાતચીત માટે તૈયાર, કાશ્મીર અને જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે કાશ્મીર અને જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભારત સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. શરીફ ઈરાનની મુલાકાતે છે. તેમણે રાજધાની તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝ્શ્કિયાન સાથે સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. ભારત સાથેના લશ્કરી સંઘર્ષ દરમિયાન ઈરાનના સમર્થન બદલ શરીફે પાઝ્શ્કિયાનનો આભાર માન્યો. તેમણે ભાર મૂક્યો કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો છે. પાકિસ્તાની પીએમ 25 મેથી 30 મે દરમિયાન તુર્કી, ઈરાન, અઝરબૈજાન અને તાજિકિસ્તાનની મુલાકાતે છે. અહીં તેઓ ભારત સાથેના તણાવ અંગે પાકિસ્તાનનો પક્ષ રજૂ કરશે. શરીફ 29-30 મેના રોજ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં ગ્લેશિયર્સ પરના આંતરરાષ્ટ્રીય પરિષદમાં પણ હાજરી આપશે. શરીફની સાથે નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડાર, આર્મી ચીફ અસીમ મુનીર, ગૃહમંત્રી મોહસિન રઝા નકવી, માહિતીમંત્રી અતાઉલ્લાહ તરાર પણ ઈરાન પહોંચી ગયા છે.આ પહેલાં શરીફે રવિવારે મોડીરાત્રે ઇસ્તંબુલમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને મળ્યા હતા. આ દરમિયાન શાહબાઝે ભારત વિરુદ્ધ તુર્કીના સમર્થન બદલ આભાર માન્યો.
ભારત સરકાર કાશ્મીર પરથી ધ્યાન ભટકાવવા માગે છે: પાકિસ્તાન
પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારત સરકાર આવાં નિવેદનો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન પરથી ધ્યાન ભટકાવવા માગે છે. પોતાને શાંતિના સમર્થક ગણાવતાં તેમણે કહ્યું કે તેઓ યુએન મિશનમાં મોખરે રહ્યા છે અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પાકિસ્તાને કહ્યું હતું કે જો ભારત ખરેખર આતંકવાદ પ્રત્યે ચિંતિત છે તો તેણે તેના દેશમાં વધતી જતી બહુમતીવાદ, ધાર્મિક અસહિષ્ણુતા અને લઘુમતીઓ સામેના અન્યાય પર ધ્યાન આપવું જોઈએ.