મોરબી જિલ્લાના માળીયા-મિયાણા તાલુકામાં સરવડ નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા ધીરુભાઇ ગોગરા ડ્રાઇવર તરીકે કામ કરીને એના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ધીરુભાઇના પિતાશ્રી મોમૈયાભાઇ પણ રાજકોટની જિલ્લા પંચાયત કચેરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ધીરુભાઇના સંતાનો રજાઓના દિવસોમાં દાદાને મળવા અને રોકાવા માટે ઘણી વખત રાજકોટ આવતા હતા.
એક વખત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ધીરુભાઇનો મોટો દીકરો નિર્મળ દાદાને ત્યાં રોકાવા માટે રાજકોટ આવેલો. તે વખતે મોમૈયાભાઇ જિલ્લા વિકાસ અધિકારીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. જિલ્લા વિકાસ અધિકારીની ગાડી જોઇને પ્રભાવિત થયેલા નાનકડા નિર્મળે દાદાને પૂછ્યું, દાદા, આ ગાડી બીજી સરકારી ગાડી કરતા જુદી કેમ છે ? આ તો લાલ લાઇટવાળી મસ્ત મજાની કાર છે. દાદાએ સમજાવતા કહ્યું, બેટા, આ મોટા સાહેબની ગાડી છે. મને વધારે તો ખબર નથી પણ ભણી ગણીને મોટા સાહેબ બનવાની પરીક્ષા પાસ કરવી પડે પછી આવી ગાડી મળે.
વિદ્યાર્થી નિર્મળના મનમાં ત્યારથી એક સ્વપ્નબીજ રોપાયું. મારે પણ મોટા સાહેબ બનવું છે એવા સંકલ્પ સાથે સરવડ ગામની સરકારી શાળામાંથી જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી નિર્મળ આગળના શિક્ષણ માટે રાજકોટ આવ્યો. શિક્ષણ જેમ જેમ આગળ વધતુ ગયું તેમ તેમ મોટા સાહેબ બનવાનું સપનું પણ વધુ સ્પષ્ટ થતું ગયું. એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિર્મળ ગોગરાએ એનું સંપૂર્ણ ધ્યાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પર કેન્દ્રીત કર્યું. ડ્રાઇવરનો પુત્ર અને પૌત્ર પણ જો ઇચ્છે તો એના સપનાને સાકાર કરી શકે એવા વિશ્વાસ સાથે નિર્મળે તનતોડ મહેનત શરૂ કરી.
2011ના અંતિમ મહિનામાં તૈયારીઓ શરૂ કરેલી એનું પ્રથમ ફળ માત્ર એક જ વર્ષમાં ચાખવા મળ્યું. 2012ના નવેમ્બર મહિનામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરી. સપનું તો અધિકારી બનવાનું જ હતું એટલે સંતોષ માનીને બેસી રહેવાને બદલે આગળની પરીક્ષાઓની તૈયારી ચાલુ જ રાખી. નિર્મળની મહેનત રંગ લાવવા લાગી. આ છોકરાએ અત્યાર સુધીમાં એક કે બે નહીં પણ જુદી-જુદી 32 સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી. કેટલાક યુવાનો ફરિયાદ કરતા હોય છે કે અમને નોકરી મળતી નથી જ્યારે નિર્મળની સામે તો જુદી જુદી 32 જેટલી નોકરીઓ આવી. કઇ લેવી અને કઈ છોડવી એ પ્રશ્ન ઉભો થાય.
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી અધિકારીઓની ભરતી માટેની પરીક્ષા પણ એમણે એક કરતા વધારે વખત પાસ કરી અને અત્યારે આ સામાન્ય છોકરો નાણાવિભાગના ક્લાસ-1 અધિકારી તરીકે જીએસટી વિભાગમાં મદદનીશ કમિશ્નર તરીકે એમની સેવાઓ આપે છે.
માણસ હતાશ થયા વગર સતત પ્રયત્નો કરતો રહે તો એક દિવસ સફળતા એને વરવા માટે વરમાળા હાથમાં લઈને સામે ચાલીને આવે એમાં શંકાને કોઇ સ્થાન નથી.
નિષ્ફળતાના 99% કિસ્સા બહાનેબાજ લોકોને લીધે સજાર્તા હોય છે.
-જ્યોર્જ વોશિંગ્ટન