રાજકોટમાં ‘ધ્વજાજી’ના સ્વાગત દર્શન માટે નગરજનો સ્વયંભૂ ઉમટયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના વૃંદાવનધામમાં મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્રારા યોજાનારા ‘મનોરથ’ ઉત્સવ પૂર્વ ગઇ કાલે શ્રીનાથદ્રારા ‘ધ્વજાજી’ ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું ઠેર-ઠેર સ્વાગત થયુ હતું, રાજકોટ માટે ઐતિહાસીક અને યાદગાર ધર્મયાત્રા અને ‘ધ્વજાજી’ ના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં આજે છપ્પનભોગ દર્શનનો ભાવીકો લાભ લઇ રહયા છે.
એરપોર્ટથી શ્રી નાથદ્રારાના ‘ધ્વજાજી’ નું આગમન રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બાનલેબની ઓફિસ ખાતે થયું હતું, મનોરથી મૌલેશભાઇ ઉકાણી પરિવારના મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન ઉકાણી, નટુભાઇ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી, અને વેવાઇ નીતીનભાઇ કણસાગરા પરિવારે ‘ધ્વજાજી’ ના દર્શન કરી પુજાવિધી કરી હતી. ત્યારબાદ ર1 કારના કાફલા સાથે ‘ધ્વજાજી’ ને બાનલેબની ઓફિસથી અમીનમાર્ગના છેડે વિશાળ શોભાયાત્રાના પ્રારંભ સ્થાન સુધી લવાયા હતા.
- Advertisement -
પુષ્ટીમાર્ગીગ વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રધાન પીઠ ગણાતા શ્રીનાથદ્રારા હવેલીના શ્રી ગો.તિ. રાકેશ ઇંદ્રદમન મહારાજની આજ્ઞા અને પૂ.ગો.ચિ. વિશાલબાવા ની પ્રેરણાથી રાજકોટમાં સોમવારે ચાર્ટર પ્લેન મારફત સ્વયંમ ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ નું આગમન થયું. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી વૈષ્ણવોને દર્શન આપવા તેમના ઘેર જાય તેવી પરંપરાના ભાવ સાથે ‘ધ્વજાજી’ ના રૂપમાં દર્શન આપે છે. ગઇકાલે શ્રી નાથદ્રારા ની ‘ધ્વજાજી’ સાથે પૂ. વિશાલ બાવાની સાથે ધ્વજાજી ના મુખ્યા નિલેશ સાંચીહર, તિલકાયતના મુખ્ય સલાહકાર અંજન શાહ, શ્રી નાથદ્રારા મંદિરના અધિકારી અનીલ સનાઢય, લીલાધર પુરોહીત, ઉમંગ મહેતા, પુષ્ટી સંપ્રદાયના પ્રચારક મહર્ષિ વ્યાસ, સહીત શ્રી નાથદ્રારા મંદિરની ટીમ રાજકોટ ખાતે ‘ધ્વજાજી’ સાથે પધારી છે. ગઇકાલે યોજાયેલ 1 કી.મી. થી વધુ લાંબી ધર્મયાત્રામાં વૈષ્ણવો ઉપરાંત સર્વે સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. શોભયાત્રા ના રૂટમાં વિવિધ સ્થળોએ 30 જેટલી લાઇવ મનોરમ્ય રંગોળીઓ, રંગબેરંગી ધ્વજા પતાકા, બે ધોડાસવારી, 50 સોફાધારી યુવાનો ની બુલેટ રેલી, નાસિક બેન્ડના 45 જેટલા આર્ટીસ્ટો, બે ડી.જે. વાન, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત 5 જેટલી વિન્ટેજ કાર, 30 જેટલા પરંપરાગત લાઇટીંગ છત્રીઓ, ખેરડી ગૌશાળાના પરંપરાગત વેશભૂષામાં સજજ 84 જેટલા યુવાનો, બે ઘોડા સાથેની 5 બગીઓ, સાફા સાથે 100 જેટલા બાઇક સવારો, ગ્રામ્ય સંસ્કૃતીને ઉજાગર કરતા સુશોભીત બળદગાડાઓએ ધર્મયાત્રાની શોભા વધારી હતી. શોભાયાત્રા દરમ્યાન ભાવીકોને પ્રસાદ વિતરણ માટે પ્રસાદ રથ, શોભાયાત્રાના સમગ્ર રૂટ ને હોર્ડીંગ્સ ” બેનરથી સુશોભીત કરાયા હતા. ગઈઈ ની 150 વિદ્યાર્થીઓની એક ટીમ શોભાયાત્રામાં પરેડ સાથે જોડાઇ હતી. શોભાયાત્રાના રૂટ પર વિવિધ સ્થળ પર ‘ધ્વજાજી’ ના સામૈયા અને દર્શન માટે રાજકોટના નગરજનો સ્વયંભૂ ઉમટી પડયા હતા. ધર્મયાત્રા ના રૂટમાં વિવિધ સ્ટેજ પર લોકોએ ધ્વજાજી પર પુષ્પવર્ષા કરી દર્શનનો લ્હાવો લીધો હતો.
અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી શરૂ થયેલ શ્રી નાથજીની ‘ધ્વજાજી’ સાથેની ધર્મયાત્રા નું ઠેર-ઠેર નગરજનોએ સ્વાગત કર્યુ હતુ. શોભાયાત્રાના માર્ગ પર ‘ધ્વજાજી’ પર પુષ્પવૃષ્ટિી થઇ હતી. અને દર્શન માટે ભાવીકોની લાંબી કતાર જોવા મળી રહી હતી. ડુંગર દરબાર થી બીગબઝાર થઇ નાનામૌવા સર્કલ, નાનમૌવા મેઇન રોડ, પાર્ક એવન્યુ સામે, મહાત્મા ગાંધી સ્કૂલ પાસે થઇ, ભારત પેટ્રોલીયમ પાસે થી અલય પાર્ક મેઇન રોડ પર, સિલીકોન વેલી સરદાર વલ્લભભાઇ માર્ગ પર થઇ ને જયભીમ નગર મેઇન રોડ સહીતના રૂટ પર ‘ધ્વજાજી’ દર્શનમાટે ભાવીકો ની ભીડ જોવા મળી હતી. સ્પીડવેલ ચોક હવેલી ખાતે ‘ધ્વજાજી’ ના દર્શનનો લ્હાવો લેવા માનવ મેહેરામણ ઉમટી પડયુ હતુ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ટઢઘ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. ત્યાથી પરસાણા ચોક ન્યુ 150 ફુટ રીંગ રોડ પાસે શોભાયાત્રાનું સમાપન કરાયુ હતુ.
ઇશ્ર્વરીયા વૃંદાવનધામ ખાતે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ
- Advertisement -
કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ‘દ્રારકાધીશ ફાર્મ’ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં નિર્મિત વૃંદાવન ધામમાં આજથી તા. 7 જાન્યુ. એ છપ્પન ભોગ મનોરથ, 8 જાન્યુ. એ ગૌચરણ મનોરથ અને 9 જાન્યુ. એ દિપદાન મનોરથ ની રંગે ચંગે ઉજવણી થશે. આ ત્રિદિવસીય મનોરથ મહોત્સવનો લ્હાવો લેવા મૌલેશભાઇ ઉકાણી બાન-ઉકાણી પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે. દ્રારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 8:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે.