સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થપાશે ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર’: રાજ્યપાલની ઉપસ્થિતિમાં કુલપતિની મોટી જાહેરાત
સૌરાષ્ટ્ર યુનિ.માં ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષયક બે દિવસીય સંસ્કૃત સમારોહનો રાજ્યપાલના હસ્તે શુભારંભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પર આયોજિત બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-2026નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીજીના સામાજિક અને વૈદિક ઉત્થાનના કાર્યોને યાદ કરી યુવા પેઢીને તેમના જીવન પર સંશોધન કરવા આહવાન કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતની પવિત્ર ભૂમિએ હંમેશા માનવતાને નવી દિશા આપનારા મહાપુરુષો આપ્યા છે. ટંકારાની ધરતી પર જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વર્ષ 1875માં આર્યસમાજની સ્થાપના કરી સમાજમાં વ્યાપ્ત કુરિવાજો દૂર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેમણે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:”ના સૂત્રને સાર્થક કરતા નારી ઉત્થાન માટે જે નવતર કાર્યો કર્યા તે આજે પણ પ્રેરણારૂપ છે. રાજ્યપાલે આઝાદીના લડવૈયાઓ અને મહર્ષિજીના વિચારો વચ્ચેના અતૂટ સંબંધનો ઉલ્લેખ કરતા એક મહત્વની કડી સમજાવી હતી. તેમણે કહ્યું કે, “ગાંધીજીના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા, ગોખલેજીના ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા હતા અને તેમના પ્રેરણાસ્ત્રોત મહર્ષિ દયાનંદ સરસ્વતીજી હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ’સંશોધન કેન્દ્ર’ની સ્થાપના
- Advertisement -
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ઉત્પલ જોશીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દયાનંદ સરસ્વતીજીના વિચારોને જીવંત રાખવા માટે યુનિવર્સિટીમાં ’મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવશે. રાજ્યપાલે આ પહેલને આવકારી હતી અને ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર આ કેન્દ્રની જરૂરી પ્રક્રિયાઓમાં સંપૂર્ણ સહયોગ આપશે.



