ઘરેલું હિંસાના કેસમાં પુરાવા વિનાના આક્ષેપો ફગાવતી અદાલત, સરકારની અપીલ નામંજૂર
ટ્રાયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ થઈ શકે તેવી કોઈ ક્ષતિ ન હોય ત્યારે આરોપીઓને તકસીરવાન ઠરાવી શકાય નહી: એડવોકેટ સુરેશ ફળદુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મેટ્રિમોનિયલ એટલે કે લગ્નજીવનની તકરારોમાં સ્ત્રીઓ કાયદાનો ઉપયોગ રક્ષણને બદલે હથિયાર તરીકે કરી રહી હોવાની નામદાર સુપ્રીમ કોર્ટની ચિંતા વચ્ચે રાજકોટની સેશન્સ અદાલતે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે નોકરીયાત પતિ અને 85 વર્ષના વૃદ્ધ સાસુ-સસરાને શારીરિક તથા માનસિક ત્રાસના કેસમાં નિર્દોષ ઠરાવતા ટ્રાયલ કોર્ટના હુકમને માન્ય રાખ્યો છે અને સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી અપીલને નામંજૂર કરી છે. આ ચુકાદાથી કાયદાના દુરુપયોગ સામે ન્યાયતંત્રની સજાગતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
કેસની વિગતવાર હકીકત જોઈએ તો ફરિયાદી ખુશ્બુબેન વિશરોલીયાએ વર્ષ 2020માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ જીલેષ મનસુખલાલ વિશરોલીયા અને સાસુ રંજનબેન તથા સસરા મનસુખભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આક્ષેપ એવો હતો કે લગ્ન જીવન દરમિયાન સાસરિયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી, ગાળો આપી અને મારકૂટ કરવામાં આવતી હતી.
ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સાસુ-સસરા તેના પતિને ચઢામણી કરતા હતા અને ત્રણેય જણાએ એકસંપ થઈને તેને શારીરિક તથા માનસિક રીતે દુ:ખ-ત્રાસ આપ્યો હતો. આ કેસમાં પોલીસ તપાસ બાદ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
રાજકોટની ટ્રાયલ કોર્ટે અગાઉ તમામ પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ કર્યા બાદ આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા હતા. જોકે, સરકાર પક્ષે આ ચુકાદાને પડકારતા સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
અપીલની સુનાવણી દરમિયાન આરોપીઓ વતી જાણીતા એડવોકેટ સુરેશ ફળદુએ ધારદાર અને તર્કબદ્ધ દલીલો કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે ફરિયાદી અને સાક્ષીઓના નિવેદનોમાં પાયાના વિરોધાભાસ છે. જુબાની દરમિયાન સાક્ષીઓએ પુરાવામાં પોતાની રીતે અનેક સુધારા-વધારા કર્યા છે જે કેસની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે ફરિયાદીએ કાયદાનો ઉપયોગ રક્ષણ મેળવવા માટે નહીં પરંતુ સાસરિયાઓ પર દબાણ લાવવા અને પોતાની શરતો મનાવવા માટે એક હથિયાર તરીકે કર્યો છે.
રાજકોટના મહે. એડિશનલ સેશન્સ જજ સાહેબે તમામ પક્ષોની રજૂઆત અને રેકોર્ડ પરના પુરાવાનું બારીકાઈથી અર્થઘટન કર્યા બાદ અવલોકન કર્યું કે ટ્રાયલ કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અને તારણો સંપૂર્ણપણે યોગ્ય છે. ફરિયાદી પક્ષનો પુરાવો બિનસંતોષકારક જણાય છે અને સાક્ષીઓની જુબાનીમાં જોવા મળતા વિરોધાભાસને કારણે ગુનાના આવશ્યક તત્વો સાબિત થતા નથી. જ્યારે પ્રોસિક્યુશન પોતાનો કેસ વ્યાજબી શંકાથી પર પુરવાર કરવામાં નિષ્ફળ ગયું હોય, ત્યારે નિર્દોષ છુટકારાના હુકમમાં હસ્તક્ષેપ કરવો વ્યાજબી નથી.
આમ, સેશન્સ કોર્ટે સરકારની અપીલ ફગાવીને પતિ અને વૃદ્ધ સાસુ-સસરાના નિર્દોષ છુટકારાનો હુકમ કાયમ રાખ્યો છે.



