હિંડોળા રાસમાં જે બાળા ખોડીયાર માતાજી બને છે તેના સ્વરૂપે સાક્ષાત ખોડીયાર માતાજી જ ગરબે ઘુમવા આવે છે અને શ્રદ્ધાળુઓ આશીર્વાદ આપે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા કેટલાક વર્ષોથી અર્વાચીન રાસ ગરબાઓનું મહત્વ વધ્યું છે. રાજકોટમાં ચોકે ચોકે અનોખા પ્રાચીન ગરબા વર્ષોથી થાય છે અને દરેકનું કંઇકને કંઇક ખાસ મહત્વ છે. જેમાંનું એક છે જલારામ ચોકનું નવદુર્ગા ગરબી મંડળ દ્વારા થતા ગરબા. ભક્તિનગર સર્કલ નજીક આવેલા જલારામ ચોકમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા અનોખા પ્રાચીન ગરબા યોજાય છે. જેમાં સનાતન ધર્મનું મહત્વ જાળવી રાખતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા રાસ રજુ થાય છે. જલારામ ચોક ખાતે છેલ્લા 22 વર્ષથી નવદુર્ગા ગરબી મંડળમાં પ્રાચીન રાસગરબાનું આયોજન થાય છે. આ પ્રાચીન ગરબામાં ખોડીયાર માતાજીનો હિંડોળા રાસ દર નવરાત્રીમાં ત્રીજા,છઠ્ઠા અને નવમા નોરતે આયોજન કરવામાં આવે છે. ખોડીયાર માતાજીના હિંડોળા રાસનું આગવું મહત્વ છે. આ હિંડોળા રાસ જોવા આવીને લોકો પોતાની જે મનોકામના હોય છે તે પૂરી થાય છે. માન્યતા એવી છે કે ખોડીયાર માતાજીનો હિંડોળા રાસમાં માતાજીની જે માનતા માનવામાં આવે છે તે આવતા વર્ષની નવરાત્રી સુધીમાં પૂરી થાય છે અને માનતા પૂરી થતાં શ્રધ્ધાળુઓ હિંડોળા રાસમાં માતાજીને શીશ ઝુકાવવા આવે છે. હિંડોળા રાસના ખોડીયાર માતાજીની માનતાથી અત્યાર સુધીમાં હજારો નિ:સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થઈ છે. માન્યતા મુજબ હિંડોળા રાસમાં જે બાળા ખોડીયાર માતાજી બને છે તેના સ્વરૂપે સાક્ષાત ખોડીયાર માતાજી જ ગરબે ઘુમવા આવે છે અને શ્રદ્ધાળુઓ આશીર્વાદ આપે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. આ રાસ જોવા 10થી 12 હજાર લોકો ઉમટી પડે છે.
કેટલાક દંપતીઓ તો વિદેશથી માનતા માનવા અને માનતા પૂરી કરવા માટે આવે છે. માનતા પૂરી કરવા આવનાર લોકો મોટી સંખ્યામાં આવતા હોવાથી તેમને ટોકન આપવામાં આવે છે અને રાસ પૂર્ણ થયા બાદ તેમના વારા પ્રમાણે માતાજીના દર્શન કરીને તેઓ પોતાની માનતા પૂર્ણ કરે છે.