ગીરની જગવિખ્યાત કેસર કેરી પર કુદરતી પરિબળોનો માર
વાતાવરણના પલટા અને માવઠાથી ઉત્પાદનમાં 50% ઘટાડાની ભીતિ
- Advertisement -
ત્રીજી વાર આંબા પર ફ્લાવરિંગ આવતા ફરી ખેડૂતોને ઉત્પાદનની આશા બંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
સૌરાષ્ટ્રની શાન અને ગીરની ઓળખ સમાન મીઠી-મધુરી કેસર કેરી પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ જણાય છે. બદલાતા વાતાવરણ, કમોસમી વરસાદ (માવઠું) અને શિયાળાની અતિશય ઝાકળ વર્ષાએ આંબાના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે આ વર્ષે સ્વાદિષ્ટ કેસર કેરીના રસીયાઓએ વધુ રાહ જોવી પડશે અને ખિસ્સા પણ વધુ ખાલી કરવા પડશે.
ચાલુ વર્ષે જૂનાગઢ, ગીર અને અમરેલી પંથકમાં આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ (મોર) આવવાના સમયે જ વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. માવઠાની અસરને કારણે આંબામાં માત્ર 50 ટકાથી ઓછું ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડશે. શિયાળા દરમિયાન થયેલી ભારે ઝાકળ વર્ષાએ કેરીની ગુણવત્તા (ક્વોલિટી) પર પણ માઠી અસર પાડી છે. સામાન્ય રીતે માર્ચના અંતમાં કે એપ્રિલની શરૂઆતમાં બજારમાં આવતી વહેલી કેરી હવે એપ્રિલના અંત સુધીમાં જોવા મળશે.
જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આંબાના પુષ્કળ બગીચા આવેલા છે. આ વર્ષે વાતાવરણની અનિશ્ચિતતાને કારણે બગીચાના માલિકો તેમજ આંબાવાડિયા ભાગે રાખનારા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, હાલ વાતાવરણ થોડું સ્થિર થતા ત્રીજી વખત ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેનાથી ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે. પરંતુ, ખેડૂતોના મતે જો જૂન મહિના પહેલા વહેલો વરસાદ (પ્રી-મોન્સૂન) આવી જશે, તો આ છેલ્લું ફ્લાવરિંગ પણ નિષ્ફળ જશે અને ’પડતા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જાશે.
હાલ બજારમાં કેરીની શરૂઆતની અવસ્થા એટલે કે ’ખાખડી’ ના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે. 20 દિવસ પહેલા ખાખડીના ભાવ રૂપિયા 800 પ્રતિ કિલો હતા, જે હવે આવક વધતા રૂપિયા 400 આસપાસ જોવા મળી રહ્યા છે. ગૃહિણીઓ જે અથાણાં માટે કેરીની રાહ જોઈ રહી છે, તેમણે હજુ એક મહિના જેટલો લાંબો સમય રાહ જોવી પડશે. આ વર્ષે ગીરની કેસર કેરીનું ઉત્પાદન અંદાજે 50 ટકા જેટલું ઘટવાની શક્યતા સેવાઈ રહી છે. ઓછી અવાકને કારણે કેસર કેરીના ભાવ પણ ગત વર્ષોની સરખામણીએ ઊંચા રહેવાની પ્રબળ સંભાવના છે. હવે ખેડૂતોની તમામ મીટ વાતાવરણ પર મંડાયેલી છે કે કુદરત હવે આગળ કેવો સાથ આપે છે.
- Advertisement -



