રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે જામીન અરજી ફગાવી, જેલમાં જ રહેવું પડશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે.
ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી.
ગયા વર્ષે ઘટેલ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. અરજદાર વતી એડવોકેટ નિરુપમ નાણાવટીએ દલીલો કરતા જણાવ્યું હતું કે, હકિકતથી કોઈ ભાગી શકે તેમ નથી. ચાર્જશીટ અને સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. મોરબી સેશન્સ કોર્ટમાં વર્તમાન અરજદારે આગોતરા જામીન મૂક્યા હતા. જેને પાછા ખેંચવામાં આવ્યા હતા. આરોપીના સાતથી આઠ દિવસના પોલીસ રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા. આને બેદરકારી કહી શકાય. અરજદાર જાતે બ્રિજના રિપેરને નિરીક્ષણ નહોતા કરતાં તે કામ માટે સ્પેશિયલ સ્ટાફ અને મેનેજર નીમવામાં આવ્યા હતા. 6 સહ આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. જેમાં બે ટિકિટ વેચનાર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને એક મેનેજરનો સમાવેશ થાય છે.
ચાર્જશીટ અને ઋઈંછમાં આક્ષેપ છે કે, મોરબી નગરપાલિકાએ ઓરેવાને 12 મહિનામાં યોગ્ય રીતે બ્રિજને રિનોવેટ કરવા કહ્યું હતું. જેને 6 માસમાં રિપેર કરી દેવામાં આવ્યો હતો. જેમાં કોઈ ટેકનિકલ મદદ લેવાઈ નહોતી. બ્રિજનું રિપેર કામ ધાંગધ્રાના દેવપ્રકાષ સોલ્યુશનને અપાયું હતુ. જેને કેબલ બ્રિજ રિપેરનો કોઈ અનુભવ નહોતો. આ બ્રિજ તૂટે તો મોટો અકસ્માત થઈ શકે તે વાત પણ ધ્યાને લેવાઇ નહોતી. બ્રિજ શરૂ કરતાં પહેલાં તેની મજબૂતાઇ ચકાસાઈ નહોતી. ટિકિટ વેચીને નાણાં કમાવવા 400થી વધુ લોકોને બ્રિજ ઉપર જવા દેવાયા હતા. બ્રિજનું ઉદ્ઘાટન પણ અરજદારે જાતે કર્યું હતું. સરકારને જણાવ્યું નહિ અને અકસ્માત થાય તો સલામતીની કોઈ વ્યવસ્થા નહોતી. બ્રિજના રિનોવેશન બાદ પણ તેના મુખ્ય કેબલના 49 માંથી 22 તાર જૂના અને કટાયેલા હતા. કેબલનું નિરીક્ષણ કરાયું નહિ, જો કેબલનું નિરીક્ષણ કરાયું હોત તો આ અકસ્માત થાત નહિ. અરજદારે તેની ઉપર ધ્યાન આપ્યું નહિ.