એસટીની અડફેટે આવેલી રિક્ષાનો કચ્ચરઘાણ, મૃતકોનાં શરીર એકબીજાને ચોંટી ગયાં
ખાસ-ખબર ન્યૂઝ રાધનપુર
- Advertisement -
સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મૃતકો રાધનપુરના અમરગઢના રહેવાસી હતા. જેઓ રાધનપુરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેઈનને બોલાવવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરથી હિંમતનગર જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે. તમામની બોડીને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે. સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી.
રિક્ષા અને બસના ગોઝારા અકસ્માતથી વાદી સમાજમાં શોક છવાયો છે, આ દુર્ઘટના ખૂબ જ દુખદાયક છે. એક જ કોમના છ વ્યક્તિઓના મોતથી સમગ્ર વાદી સમાજ શોકમય છે. મૃતકોમાં ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. 70), ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60), ફૂલવાદી ઇશ્ર્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. 75), ફૂલવાદી તારાબેન ઈશ્ર્વર ભાઈ (ઉં.વ. 70), ફૂલવાદી નરેશભાઈ ઇશ્ર્વરભાઇ (ઉં.વ. 35) અને ફૂલવાદી સાયરાબેન દિલૂભાઈ વાદી (ઉં.વ. 35)નો સમાવેશ થાય છે. મોતને ભટેલા તમામની લાશોને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેના પગલે હોસ્પિટલમાં પ્રાંગણમાં વાદી સમાજના લોકોની ભીડ ઉમટી પડી છે. સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે, જે આ દુ:ખદ ઘટના માટે શોક વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના માત્ર પરિવારજનો માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક મોટી ખોટ છે. લોકો એકબીજાને સહારો આપી રહ્યા છે અને આ દુ:ખદ સમયમાં એકતા દર્શાવી રહ્યા છે.