વામન મંદિર, સૂર્યકુંડ, ગંગનાથ મહાદેવ નગરીને અપાવી શકે છે વિશ્વના નકશામાં સ્થાન
ખાસ-ખબર સંવાદદાતા
આક્ષેપબાજી અને ભ્રષ્ટાચારમાં રચ્યા રહેતા રાજકીય આગેવાનોના વાંકે વંથલીના પ્રાચીન ઐતિહાસિક ધરોહર સમાન વારસાની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. જ્યાં ભગવાન વામનજીનું વિશ્વમાં એક માત્ર મંદિર આવેલ છે તે જૂનાગઢ સોમનાથ હાઇવે પર આવેલ વંથલી શહેરમાં અનેક પુરાતન સ્થળો ધૂળ ખાઈ રહ્યા છે છતાં આજ દિન સુધી તેના ર્જીણોદ્ધાર માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક રાજકારણ મામલે સૌરાષ્ટ્રમાં કાયમી ચર્ચાના કેન્દ્રમાં રહેતા જૂનાગઢ પાસેના વંથલી નગરમાં બહારના કોઈ લોકોની કલ્પના બહાર સમૃદ્ધ પ્રાચીન વારસો પડ્યો છે. પરંતુ આ ઐતિહાસિક વારસાની જાળવણી પ્રત્યે તંત્ર સાવ નિષ્ફળ પુરવાર થયું છે. સમગ્ર વિશ્વમાં ભગવાન વામનજીનું એકમાત્ર મંદિર તેમજ બીજી તરફ બલીરાજાના સમયની અનેક ધાર્મિક માન્યતા ધરાવતો સુંદર સ્થાપત્ય કલાની બાંધણી ધરાવતો સૂર્યકુંડ પણ આવેલ છે. તેમજ દેવાયત પંડિતે સ્થાપેલું સ્થાપત્યના નમૂના સમાન ગંગનાથ મહાદેવ પ્રાચીન અને પ્રાચીન ભજનોમાં વણાયેલ ભાણાવાવ મંદિર પણ છે. મંદિર પાસે પ્રાચીન વાવ અને લગ્ન મંડપ છે અને સાથે જૈનો બધા તીર્થમાં દર્શન કર્યા બાદ જ્યાં યાત્રા પુરી કરે છે તેવા પ્રાચીન જૈન દેરાસર પણ વંથલીમાં આવેલ છે. ત્યારે આ ઐતિહાસિક વારસાનું જતન કરવાને બદલે અહીંના રાજકારણીઓ માત્ર ભ્રષ્ટાચાર અને પક્ષપલટા માટે રચ્યા પચ્યા રહે છે. આ લોકોએ ધાર્યું કર્યું હોત તો વંથલી શહેર આજે એક પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ મેળવી હોત થોડા સમય પહેલા આ વિસ્તારમાં પ્રવાસન મંત્રી બનેલ અહીંના ધારાસભ્ય પણ આ ઐતિહાસિક વારસાની કાયાપલટ કરવામાં નિષ્ફળ ગયા છે.