ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
અમેરિકાના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી 2 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેઓ ધર્મશાળામાં તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને મળશે. પેલોસી બપોરે સાડા બાર વાગ્યે હિમાચલ પ્રદેશના કાંગડા એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમની સાથે 6 અમેરિકન સાંસદોનું ડેલિગેશન પણ હાજર છે. નેન્સી અગાઉ આ પહેલા મે 2017માં દલાઈ લામાને મળવા ભારત આવ્યા હતી. ત્યારબાદ ચીને અમેરિકાને તિબેટ મામલે હસ્તક્ષેપ કરવા સામે ચેતવણી આપી હતી. પેલોસી લાંબા સમયથી તિબેટની આઝાદીનું સમર્થન કરે છે. અમેરિકામાં 12 જૂને તિબેટ સંબંધિત એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકા તિબેટ વિશે સમગ્ર વિશ્ર્વમાં ચીન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો જવાબ આપશે. આ દરમિયાન અમેરિકન અધિકારીઓ ચીનના દાવાને પણ નકારી કાઢશે કે તિબેટ તેનો હિસ્સો છે. આ દરમિયાન તિબેટીયન લોકોમાં ચીન સામે ગુસ્સો વધવા લાગ્યો. 1955 પછી સમગ્ર તિબેટમાં ચીન વિરુદ્ધ હિંસક પ્રદર્શનો શરૂ થયા.
- Advertisement -
આ દરમિયાન પ્રથમ બળવો થયો જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા. માર્ચ 1959માં સમાચાર ફેલાયા કે ચીન દલાઈ લામાને બંધક બનાવવા જઈ રહ્યું છે. આ પછી દલાઈ લામાના મહેલની બહાર હજારો લોકો એકઠા થઈ ગયા હતા. આખરે દલાઈ લામા તિબેટની રાજધાની લ્હાસાથી ભાગીને સૈનિકના વેશમાં ભારત પહોંચ્યા. ભારત સરકારે તેમને આશ્રય આપ્યો. ચીનને આ પસંદ નહોતું. એવું કહેવાય છે કે 1962ના ભારત-ચીન યુદ્ધનું પણ આ એક મોટું કારણ હતું. દલાઈ લામા હજુ પણ ભારતમાં વસે છે. તિબેટની દેશનિકાલ સરકાર હિમાચલ પ્રદેશની ધર્મશાળાથી ચાલે છે. આ સરકારની પણ ચૂંટણી યોજાય છે. વિશ્ર્વભરના તિબેટીયન શરણાર્થીઓ ચૂંટણીમાં મતદાન કરે છે. શરણાર્થી તિબેટીયનોએ મતદાન કરવા માટે નોંધણી કરાવવી પડે છે. ચૂંટણી દરમિયાન તિબેટીયન લોકો તેમના રાષ્ટ્રપતિને ચૂંટે છે જેને ’સિક્યોંગ’ કહેવામાં આવે છે. ભારતની જેમ ત્યાંની સંસદનો કાર્યકાળ પણ 5 વર્ષનો હોય છે. તિબેટીયન સંસદનું હેડક્વાર્ટર હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં છે.’સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન’ દ્વારા જાહેર કરાયેલ ’ગ્રીન બુક’ ધરાવતા તિબેટીયનોને જ મત આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર છે. આ પુસ્તક ઓળખપત્ર તરીકે કામ કરે છે.