સતર્કતાની ચકાસણી માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગની સંયુક્ત મોકડ્રીલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની મુલાકાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. શ્રદ્ધાળુઓની સલામતિ અને અગમચેતીના પગલાંની ચકાસણી માટે સોમનાથ મંદિર પરિસરમાં મોડીરાતથી વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાની સઘન મોકડ્રીલ યોજાઈ હતી. નેશનલ સિક્યોરિટી ગાર્ડ સાથે પોલીસ વિભાગ, આરોગ્ય, ફાયર સહિત વહીવટી તંત્રના સંબંધિત વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો સાથે યોજાયેલી આ મોકડ્રીલમાં આતંકવાદી હુમલા સમયે સાવચેતીના પગલાં ચકાસવા અંગે બ્લેકઆઉટ સહિતના તમામ તબક્કાઓ આવરી લેવામાં આવ્યાં હતાં. વહેલી સવાર સુધી ચાલેલી આ મોકડ્રીલમાં મંદિરમાં કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ સર્જાય તો કઈ રીતે શ્રદ્ધાળુઓને બચાવી શકાય? વિવિધ વિભાગના સંકલનથી ત્વરિત પગલાં લેવા, સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી દિગ્વિજય દ્વાર, હમીરજી સર્કલથી ગૌરીકુંડ અને લીલાવતી ભવન, સાગર દર્શન સહિતના પેટ્રોલિંગ પોઈન્ટ, મંદિર પાછળના ભાગમાં વોક-વે પેટ્રોલિંગ, સમુદ્રી સુરક્ષા, ગંભીર સ્થિતિમાં શ્રદ્ધાળુઓને આરોગ્ય સુવિધા પૂરી પાડવા સહિતના તમામ તબક્કાઓનું વિવિધ સંભાવનાઓ સાથે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આમ, સોમનાથ મંદિર મહત્વનું ધાર્મિક સ્થળ હોવાના કારણે આ પર્યટન સ્થળ પર આતંકવાદી હુમલાનો સામનો કરવા અને પ્રથમ પ્રતિભાવ તરીકે સ્થાનિક તંત્રની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આ મોકડ્રીલ યોજાઈ હતી.



