અણઘડ આયોજન અને પાંખી હાજરી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આડેહાથ લીધાની ચર્ચાએ જોર પકડ્યું
લાખો રૂપિયાના ખર્ચે આયોજન છતાં 80% ખુરચીઓ ખાલી જોવા મળી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં રાજ્યકક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પરંતુ, આ ભવ્ય આયોજનમાં જનમેદની એકત્ર કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયાની ચર્ચાએ તીવ્ર સ્વર ધારણ કર્યો છે. પોરબંદરની કે.એચ. માધવાણી કોલેજ ખાતે રાજ્યકક્ષાના આ કાર્યક્રમ માટે છેલ્લા એક મહિનાથી તૈયારી ચાલી રહી હતી અને કરોડોના ખર્ચે ભપકાદાર આયોજન કરાયું હતું. તેમ છતાં, 14મી ઓગસ્ટે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 80 ટકા ખુરશીઓ ખાલી રહી હતી. સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યોગબોર્ડના સભ્યોને મોટી સંખ્યામાં લાવવા છતાં આયોજન પાંખું રહ્યું. 13મી તારીખે મોડું કરાયેલી પ્રેસ કોન્ફરન્સ તથા 14મી તારીખે રાંધણછઠના કારણે મહિલાઓ-યુવતીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી શકી નહોતી. જેના પરિણામે મુખ્યમંત્રી પોરબંદરના ટોચના અધિકારીઓ પર નારાજ થઈને ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચોક્કસ વર્તુળો માની રહ્યા છે કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ અંગે વિગતો મેળવીને ટૂંક સમયમાં જ વહીવટી અધિકારીઓ સામે પગલા લેવાશે.
- Advertisement -
જિલ્લા વહીવટી તંત્રની ભૂલોથી પોરબંદરનું નામ ખરાબ થયું
રાજ્યકક્ષાનો ભવ્ય કાર્યક્રમ હોવા છતાં પોરબંદરમાં તેનું આયોજન અણઘડ અને નિષ્ફળ સાબિત થયું. સૌથી મોટી જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની છે, જેમણે સમયસર પ્રચાર પ્રસાર કર્યો જ નહોતો. કાર્યક્રમના એક દિવસ પહેલા મોડી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેના કારણે સામાન્ય નાગરિકોને ખબર જ પડી નહોતી કે મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં એવો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. જેમાં સામાન્ય લોકો પણ જોડાય શકશે. લાખો રૂપિયાનો ખર્ચ થવા છતાં કાર્યક્રમ પાંખો રહી ગયો. આમંત્રણમાં પણ ગંભીર ખામી રહી હતી. શહેરની અનેક સંસ્થાઓ, વરિષ્ઠ નાગરિકો અને પ્રતિષ્ઠિત લોકોને આમંત્રિત જ કરવામાં આવ્યા નહોતા. જેના કારણે ખુરશીઓ ખાલી રહી ગઈ અને સમગ્ર આયોજન પર પાણી ફરી વળ્યું. યોગ્ય સંકલન ન થવાને કારણે જનમેદની એકત્ર કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હતું.