ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને દસાડા તાલુકાના સેંકડો ખેડૂતોએ આજે ઘુડખરના ત્રાસના મુદ્દે દુધરેજથી કલેકટર કચેરી સુધી આક્રોશ રેલી યોજી હતી.
લખતર તાલુકાના દસથી વધુ ગામોના અને દસાડા તાલુકાના ખેડૂતો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જંગલી ગધેડા (ઘુડખર)ના ત્રાસનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોએ આ રેલીનું આયોજન કર્યું હતું.
રેલીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક વિક્રમ રબારી, ખેડૂત આગેવાન અશોક પટેલ, નરેશ મકવાણા અને દેવરાજ રબારી સહિત લખતર તાલુકાના 10-11 ગામના ખેડૂતો જોડાયા હતા.
લખતર તાલુકાના ઘણાંદ, ડુમાણા, ગંજેળા, વણા, નાના અંકેવાળીયા સહિતના વિસ્તારોમાં ઘુડખરના ટોળેટોળા ફરી રહ્યા છે. આ ઘુડખરો ખેતરોમાં ઉભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ઘુડખરો ખેતરોમાં પ્રવેશી પાકને નુકસાન કરે છે.
ખેડૂતો દિવસે ખેતરોમાં કામ કરે છે અને રાત્રે પાકની રખેવાળી માટે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. છેલ્લા સાત-આઠ વર્ષથી ખેડુતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બે દિવસ અગાઉ ઘણાંદ સહિત આજુબાજુના ગામના ખેડૂતોએ એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કર્યા હતા.
આજની રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને સુરેન્દ્રનગર કલેકટરને આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. ખેડૂતોની માંગ છે કે ઘુડખરોના ત્રાસથી તેમના પાકને થતા નુકસાનને રોકવા માટે તંત્ર તાત્કાલિક પગલાં લે.
ઘુડખરના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ લખતર-દસાડાના સેંકડો ખેડૂતોએ કલેકટર કચેરી સુધી આક્રોશ રેલી યોજી
