આર.ટી.ઓ દ્વારા 794 કેસ કરી રૂપિયા 25,41,000નો દંડ વસૂલાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.5
જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે આર.ટી.ઓ, એન.એચ.એ.આઈ સહિત સંબંધિત અધિકારીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં કલેકટરએ વાહન ચાલકોની સલામતી માટે જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ ઝિબ્રા ક્રોસિંગ, જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા સહિતના સૂચન કર્યા હતા.
- Advertisement -
નાગરિકોને ટ્રાફિકના નિયમો અંગે વિગતવાર માર્ગદર્શન આપવા જિલ્લામાં વિશેષ જાગૃત્તિ કાર્યક્રમ યોજવા, દસ્તાવેજી કરણ અને સંયુક્ત તપાસ અહેવાલ, સમગ્ર અકસ્માત અહેવાલની પૂર્ણતા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરએ ઉપસ્થિત સર્વેને દિશાનિર્દેશ આપ્યા હતા. આર.ટી.ઓ ઈન્સ્પેક્ટર વાઘેલા દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર જિલ્લામાં થયેલા અકસ્માતો અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આર.ટી.ઓ દ્વારા 794 કેસ કરી 25,41,000નો દંડ વસૂલાયો હતો. જેમાં પીયુસી વગરના 130 કેસ, સીટ બેલ્ટ વગર વાહન ડ્રાઈવના 3 કેસ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવાના 145 કેસ, ભયજનક ડ્રાઈવિંગના 3 કેસ, હેલ્મેટ વગર વાહન ચલાવવાના 68 કેસ, વીમા વગર વાહન ચલાવવાના 87 સહિત ઓવરલોડ તેમજ ભયજનક રીતે વાહન ચલાવવાના કેસનો સમાવેશ થાય છે.