વસતિ ગણતરી માટે રાજ્ય સરકારે બે ગેઝેટ પ્રસિદ્ધ કર્યા
વસ્તી ગણતરીનો બીજો અને મુખ્ય તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ કરાશે
- Advertisement -
33 પ્રશ્ર્નોના આધારે ઘરને લગતી મૂળભૂત માહિતી એકત્રિત કરશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.11
ગુજરાતમાં આવનારી વસતિ ગણતરીને લઈ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. વસતિ ગણતરી માટે અધિકારીઓની નિમણૂક અંગે ગુજરાત સરકાર દ્વારા વધુ બે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં શહેરી વિસ્તાર તથા જિલ્લા વિસ્તાર માટે અલગ-અલગ ગેઝેટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગેઝેટ મુજબ રાજ્યમાં હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસનો પ્રથમ તબક્કો 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી યોજાશે, જ્યારે વસ્તી ગણતરીનો મુખ્ય તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા મુખ્યત્વે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને સોંપવામાં આવશે અને તે સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. ડાયરેકટર ઓફ સેન્સસ ઓપરેશન, સુજલ મયાત્રાએ જણાવ્યું કે વસતિગણતરી એક લાંબી અને વ્યાપક પ્રક્રિયા છે, જેને બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટીંગ હાથ ધરાશે, જેમાં ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લઈ 33 પ્રશ્નોના આધારે ઘરને લગતી મૂળભૂત માહિતી એકત્રિત કરશે. આ માહિતીમાં ઘરનો પ્રકાર, ઘર રહેણાંક હેતુ માટે ઉપયોગમાં છે કે નહીં, ઘરમાં લાદી છે કે નહીં, પીવાના પાણી, શૌચાલય, વીજળી, ટીવી જેવી સુવિધાઓ અંગેની વિગતો સામેલ રહેશે. આ તમામ માહિતી ભારત સરકાર દ્વારા વિકસિત ખાસ ડિજિટલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન એકત્રિત કરવામાં આવશે.
- Advertisement -
દર 700થી 800 વસતિદીઠ એક ગણતરીકારની નિમણૂક કરાશે
વસતિગણતરીની તૈયારીઓ ડિસેમ્બર 2025થી જ શરૂ કરી દેવામાં આવી હતી. ભારત સરકારે તમામ ઘરો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેના ભાગરૂપે નેશનલ માસ્ટર્સને તાલીમ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેઓ પાછા આવીને રાજ્યસ્તરના માસ્ટર્સને તાલીમ આપી રહ્યા છે અને ત્યારબાદ જિલ્લા, તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. ગેઝેટમાં કરાયેલી જોગવાઈ મુજબ દર 700થી 800 વસતિદીઠ એક ગણતરીકારની નિમણૂક કરવામાં આવશે, જેમાં મોટા ભાગે શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેશે.
મહાપાલિકા-નગરપાલિકા વિસ્તારો માટે ખાસ અધિકારીઓની નિમણૂક
રાજ્ય સરકારે શહેરી વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે મનપા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે શહેર સ્તરે સિટી સેન્સસ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. મહાનગરપાલિકાના વોર્ડ સ્તરે વોર્ડના સેન્સસ ઓફિસર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી નિભાવવામાં આવશે. તે ઉપરાંત મનપા અને નગરપાલિકા વિસ્તારો માટે ખાસ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
વસતિ ગણતરીમાં અવરોધ કરનારને ત્રણ વર્ષ કેદ અને રૂ.1000 સુધીનો દંડ
ગેઝેટમાં કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં વસ્તી ગણતરીના કામમાં અવરોધ
ઊભો કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ રાખવામાં આવી છે, જ્યારે
માહિતી આપવામાં આનાકાની કરનાર વ્યક્તિને રૂપિયા એક હજાર સુધીનો દંડ થઈ શકે છે.
જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેકટર ફરજ બજાવશે
30 દિવસ દરમિયાન એકત્રિત માહિતીનું સુપરવાઈઝર વેરિફિકેશન કરશે’
જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વસ્તી ગણતરી માટે અધિકારીઓની સ્પષ્ટ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેકટર ફરજ બજાવશે, જ્યારે જિલ્લા વસ્તી અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટર જવાબદારી નિભાવશે. તાલુકા સ્તરે ચાર્જ સેન્સસ ઓફિસર તરીકે મામલતદારને ફરજ સોંપવામાં આવી છે અને સબ-ડિવિઝનલ સેન્સસ ઓફિસર તરીકે નાયબ કલેકટરને જવાબદારી આપવામાં આવી છે.
હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 30 દિવસ દરમિયાન એકત્રિત થયેલ સમગ્ર ડેટાનું સુપરવાઈઝર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ ફરી ગણતરીકારો અને શિક્ષકોને તાલીમ આપવામાં આવશે જેથી તેઓ ફેબ્રુઆરી 2027માં યોજાનાર વસ્તી ગણતરી માટે સંપૂર્ણ તૈયાર થઈ શકે. ફેબ્રુઆરીમાં એકત્રિત થયેલ માહિતીના આધારે ત્રણથી ચાર મહિનામાં સમગ્ર ડેટાનું સંકલન કરી તેને જાહેર કરવામાં આવશે.
આ વખતે વસ્તી ગણતરીની સૌથી મહત્વની વિશેષતા એ છે કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રહેશે અને કાગળનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મકાન લિસ્ટીંગથી લઈને તમામ માહિતી ઓનલાઈન એપ્લિકેશનમાં ભરવામાં આવશે અને દરરોજ સાંજે આ માહિતી દેશના અન્ય ડેટા સેન્ટરોમાં સિંક કરવામાં આવશે, જેના કારણે ડેટાની સુરક્ષા, પારદર્શિતા અને ઝડપી પ્રક્રિયા શક્ય બનશે.
‘ડિજી ડોટ’નાં 5 ફાયદા થશે
1. આપત્તિમાં રાહત
જિયો ટેગિંગથી બનેલો ડિજિટલ લેઆઉટ મેપ વાદળ ફાટવા, પૂર આવવા કે ભૂકંપ જેવી અનિચ્છનીય ઘટના સમયે ઉપયોગી સાબિત થશે. દૂરના હિમાલયી વિસ્તારમાં વસેલા કોઈ ગામમાં વાદળ ફાટવા જેવી ઘટના સમયે આ મેપથી તરત જ ખબર પડી જશે કે કયા ઘરમાં કેટલા લોકો રહે છે. હોટલોમાં ક્ષમતા મુજબ કેટલા લોકો રહ્યા હશે. આ વિગતથી બચાવ માટે જરૂરી તમામ બોટ, હેલિકોપ્ટર, ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં મદદ મળશે.
2. સીમાંકનમાં મદદ મળશે
રાજકીય સીમાઓ જેવી કે સંસદીય અથવા વિધાનસભા ક્ષેત્રોનું તર્કસંગત રીતે નિર્ધારણ કરવામાં પણ તેનાથી મદદ મળશે. જિયો ટેગિંગથી તૈયાર થયેલા નકશાથી આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારનું સંતુલિત વિભાજન કેવી રીતે થાય. સમુદાયોને એવી રીતે વિભાજિત ન કરવામાં આવે કે એક મોહલ્લો એક ક્ષેત્રમાં અને બીજો મોહલ્લો કોઈ અન્ય ક્ષેત્રમાં સામેલ થઈ જાય. ઘરોના ડિજિટલ ડેટાથી સીમાંકનની પ્રક્રિયામાં સરળતા રહેશે.
3. શહેરી આયોજનમાં સરળતા
શહેરમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો કે બગીચાઓનું આયોજન કરવામાં પણ આ નકશો ઉપયોગી સાબિત થશે. જો કોઈ જગ્યાના ઘરોના ડિજિટલ લેઆઉટમાં બાળકોની વધુ સંખ્યા હશે તો પાર્ક અને શાળાને પ્રાથમિકતાથી બનાવવાની યોજના તૈયાર કરી શકાશે. જો કોઈ વસાહતમાં કાચા મકાનો કે ખરાબ ઘરોની વધુ સંખ્યા દેખાશે તો ત્યાં કોઈ મેડિકલ ઇમરજન્સીના સમયે તાત્કાલિક મોબાઇલ રાહત વાન મોકલી શકાશે.
4. શહેરીકરણ અને સ્થળાંતર દરનો ડેટા મળશે
આ વસ્તી ગણતરીના 10 વર્ષ પછી થનારી વસ્તી ગણતરીમાં ડિજિટલ નકશાના ફેરફારો સરળતાથી નોંધી શકાશે. દેશના વિવિધ ભાગોમાં શહેરીકરણનો દર અને સ્થળાંતરના વિસ્તારોની મેપિંગની તુલના ચોક્કસ રીતે કરી શકાશે.
5. મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર થશે
આધારની ઓળખ સાથે જીઓ ટેગિંગ મતદાર યાદીને સચોટ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. જ્યારે મતદાર કોઈ ભૌગોલિક સ્થાન સાથે ડિજિટલી જોડાયેલો હશે, ત્યારે રજીસ્ટ્રેશન સમયે તેના મૂળ નિવાસનું સરનામું પણ સામે આવશે.



