રાજકોટની શાળાઓ શિક્ષણ વિભાગનાં પરિપત્રને ઘોળીને પી ગઇ!
કાળઝાળ ગરમીમાં બાળકો હેરાન-પરેશાન : વાલીઓની
સ્કૂલ સંચાલકોને અનેક રજૂઆત છતાં પણ કોઇ પરિણામ નહીં
- Advertisement -
આકરા તાપ વચ્ચે ધોળકિયા, પરિમલ અને વિદ્યાવિહાર સ્કૂલ 1 વાગ્યા સુધી ધમધમે છે આજે પણ રાજકોટ ગુજરાતનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે. આવી કાળઝાળ ગરમી પડતાં માણસો – પશુઓને પણ ઘણી સમસ્યા થતી હોય છે. ત્યારે નાના ભૂલકાઓની આવી ગરમીમાં શું થતું હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રાજકોટની નામાંકિત શાળાઓ ઘોળીને પી ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટની અમુક સ્કૂલો દ્વારા હજુ પણ શાળાના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રાજકોટમાં 4 એપ્રિલે શાળાના સમયને લઈ શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રનો રાજકોટમાં તો 8મી એપ્રિલથી જ અમલ કરી દેવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત હિટવેવ એક્શન પ્લાન-2025 મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોવાથી ખાસ તકેદારીના પગલા લેવા જણાવેલ છે. જે પત્ર અન્વયે નીચે મુજબ ખાસ તકેદારીના પગલા લેવા જણાવવામાં આવે છે. નીચે મુજબની સૂચના રાજકોટ શહેર તેમજ જીલ્લાની તમામ શાળાઓમાં અમલ કરવાની રહેશે. જેમાં (1) તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હિટવેવ તેનાથી અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવી.(2) ઉનાળા દરમિયાન કોઈ ઓપન-એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં. (3) ગરમીની સીઝનમાં શાળાનો સમય (સવારે 7 થી 11 સુધી) રાખવો.
આ અંગે રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલો માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પણ આ નિયમનું પાલન થાય તે માટે તમામ સ્કૂલોને 12 વાગ્યા સુધી જ સ્કૂલ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.12 વાગ્યા બાદ કોઈપણ સ્કૂલ ચાલુ હશે તો તેની સામે તપાસ કરવામાં આવશે.
DEO કચેરીની ટીમ ફિલ્ડમાં આ અંગે તપાસ કરશે.
- Advertisement -
રાજકોટ શહેરમાં 43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ વિદ્યાર્થીઓને બપોરે તાપમાં શાળામાં મોડે સુધી રોકવામાં આવે છે. જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઉનાળામાં આકરા તાપને ધ્યાનમાં રાખીને શાળાઓનો સમય સવારે 7 થી 11 રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને બપોરે 11 વાગ્યાની બદલે છેક 1:00 વાગ્યે છોડે છે જેને લીધે વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજકોટ શહેરની ધોળકિયા અને પરિમલ વિદ્યાવિહાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને 1 વાગ્યે છોડવામાં આવ્યા હોવાના સામે આવ્યા છે.
રાજકોટ શહેરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તેવી ધોળકિયા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને બપોરે 1:00 વાગ્યે આકરા તાપ વચ્ચે શાળાએથી છોડવામાં આવે છે. જયારે શહેરના બાલાજી હોલ પાસે આવેલી કે. જી. ધોળકિયા સ્કૂલમાં 3,000 જેટલા વિદ્યાર્થીઓને બપોરે 1:00 વાગ્યે છોડવામાં આવ્યા હતા.