બી.એલ. સંતોષ અને ભુપેન્દ્ર યાદવ દ્વારા વિજય રૂપાણી-નીતિન પટેલને મનાવવા 3 કલાક સુધી પ્રયાસ : નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે પણ આ મુલાકાતથી અનેક તર્કવિતર્ક
ખાસ-ખબર સંવાદદાતા
નવા મુખ્યમંત્રીએ પદભાર ગ્રહણ કર્યાના ચોવીસ કલાકની અંદર જ ટોચના નેતાઓની નારાજગી ઉપરની સપાટીએ આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી. બીજી તરફ નારાજ થયેલા નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંગળવારે મોડી રાત્રે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોઈ અજ્ઞાત સ્થળે મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. ભાજપના સુત્રોએ આ માહિતીને સમર્થન આપ્યું હતું. નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે. તેથી તેમની આ મુલાકાતને કારણે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.
બી.એલ. સંતોષ અને ભુપેન્દ્ર યાદવ બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.



