વરસાદી માહોલમાં અનેક મુશ્કેલીઓ સામે યુવાનનું અડગ મનોબળ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામનો સંતોષ સાંખટ નામનો યુવાને પોતાની સ્પ્લેન્ડર બાઇક લઈને સુરત મુકામેથી 15 ઓગસ્ટનાં રોજ પોતાની યાત્રા ચાલુ કરી હતી. સૌપ્રથમ પોતાના માદરે વતન પીપાવાવ ધામ પહોંચી સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરે દર્શન કર્યા હતા. જે બાદ 22 ઓગસ્ટ ના રોજ સૌપ્રથમ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દર્શનાર્થે પહોંચ્યા હતા.
- Advertisement -
ત્યારબાદ 24 ઓગસ્ટે નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરી દ્વારકા ખાતે દર્શન કર્યા ત્યારબાદ તે પોતાની સ્પ્લેન્ડર બાઇક લઇને ધોધમાર વરસાદના માહોલ વચ્ચે પણ મધ્યપ્રદેશ સ્થિત ઉજ્જૈન મહાકાલ મંદિર તરફ પ્રયાણ કરી 29 ઓગસ્ટે મહાકાલેશ્વર જયોર્તિલિંગના દર્શન કર્યા અને 1 સપ્ટેમ્બર ના રોજ ઓમકારેશ્વર જયોર્તિલિંગના દર્શન કરી મહારાષ્ટ્રમા તરફ પ્રયાણ કરે છે. જ્યાં 3 સપ્ટેમ્બરે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ દર્શન તથા 5 સપ્ટેમ્બર નાશિક ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને 6 સપ્ટેમ્બર ના રોજ ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરી હાલ તેઓ દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરફ આગળ વધી રહ્યો છે.
પીપાવાવ ધામના આ યુવાને અત્યાર સુધીમાં 7 જ્યોતિર્લિંગ અને એક યાત્રાધામના દર્શન કર્યા છે. અને પોતાની સ્પ્લેન્ડર બાઈક પર 3000 થી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ અંતર તેમણે 22 દિવસ જેટલા સમયમાં પુર્ણ કયુ છે.
આગામી દિવસોમાં વધુ 5 જ્યોતિર્લિંગ અને ત્રણ યાત્રાધામની યાત્રા પોતાની મોટરસાયકલ પર કરશે. જેમાં 100 દિવસમાં 15000 થી વધુ કિલોમીટરની યાત્રા કરશે.
આ યાત્રા અંગે તમામ વિગતોતે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ટ્રાવેલમુંડા પર અપલોડ કરે છે. આ બાબતે સંતોષ સાથે વાત કરતા જણાવેલ કે, હિંદુ ધર્મમાં ચારધામ અને બાર જ્યોતિર્લિંગ યાત્રાનાં મહત્વ વિશે આપણે જાણીએ જ છીએ અને દરેક વ્યક્તિને ચારધામ અને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની ઈચ્છા હોય છે.
સાથે-સાથ મારે ભારત ભ્રમણ કરવાનો પણ વિચાર હતો જેથી બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રામાં મોટાં ભાગનું ભારત ભ્રમણ થઇ જાય છે. જેથી મોટરસાયકલ પર જ ભારત ભ્રમણ યાત્રા કરવાનો નિર્ણય કર્યો છે અને પરિવારનાં લોકો પણ સંમતિ આપતા હું રવાના થયો છું.