ખાસ-ખબર સંવાદદાતા
આઈપીએલનો પ્રારંભ ચાર દિવસ બાદ થવાનો છે. 26 માર્ચથી ટી-20 લીગની 15મી સીઝનની શરૂઆત થવા જઈ રહી છે અને પ્રથમ મુકાબલો ચેન્નાઈ-કોલકત્તા વચ્ચે રમાવાનો છે. 10 ટીમોની ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડમાં કુલ 70 મુકાબલા થવાના છે. આ મેચ મુંબઈના ત્રણ ગ્રાઉન્ડ અને પૂનામાં રમાશે. કોરોનાને કારણે આ વખતે કોઈ પણ ટીમ ઘરેલું મેદાન ઉપર મેચ રમશે નહીં.
- Advertisement -
જો કે મુંબઈ ઈન્ડિયન્સને અમુક મેચ વાનખેડે સ્ટેડિયમ ઉપર રમવા મળશે. પ્લેઓફની ચાર મેચના શેડયુલ ઉપર હજુ સુધી નિર્ણય લેવાયો નથી. અહેવાલો અનુસાર જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધતી જશે તેમ તેમ દર્શકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટેડિયમની ક્ષમતાના 25% દર્શકોને આવવાની પરવાનગી અપાઈ છે.
એક અધિકારીએ કહ્યું કે જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ જશે તેમ તેમ દર્શકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.
કોરોનાના કેસમાં ઘટાડાને કારણે આશા છે કે વધુ સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં આવી શકશે. અત્યારના નિયમ પ્રમાણે વાનખેડેમાં 9800થી 10 હજાર દર્શકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવી શકશે.
મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં સાતથી આઠ હજાર, મુંબઈના જ ડી.વાઈ.પાટીલમાં 11થી 12 હજાર અને પૂનામાં 12 હજાર દર્શકો આવી શકશે. આ રીતે ડી.વાય.પાટીલ અને પૂના સ્ટેડિયમમાં સૌથી વધુ દર્શકો મેચનો આનંદ ઉઠાવી શકશે. પાછલા દિવસોમાં શ્રીલંકા અને વિન્ડિઝ શ્રેણી દરમિયાન ધર્મશાલા, કોલકત્તા, મોહાલી અને બેંગ્લોરમાં દર્શકો આવ્યા હતા જેના કારણે બોર્ડને ઘણી રાહત મળી હતી. દરમિયાન બોર્ડ સચિવ જય શાહ દ્વારા તમામ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને સચિવને આઈપીએલની ઓપનિંગ મેચ માટે વાનખેડે સ્ટેડિયમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.


