ઘર ઘર ખુશાલી લાયેંગે- મોડલ ગાંવ બનાયેંગે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લાની વિસાવદર સામાન્ય ચુંટણી પ્રકિયા નિષ્પક્ષ અને તટસ્થ માહોલમાં યોજાય અને મતદારોને કોઇ જ અગવડતા ના રહે તે માટે ભારતિય ચુંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશનાં લખનઉ ખાતે સહકારીતા વિભાગમાં કમિશ્નર અને રજીસ્ટ્રાર તરીકે સેવા બજાવતા સનદી અધિકારી ડો. હીરાલાલ પટેલની નિયુક્તિ કરી છે. આ ચુંટણી દરમ્યાન ચુંટણી પ્રકિયા દરમ્યાન પ્લાસ્ટીક અને પ્રદુષણને અસર કરે તેવી ચિજોનો વપરાશ ટાળવા અને ઈકો ફ્રેન્ડલી ચુંટણી યોજાય તે દીશામાં ડો. હીરાલાલ પ્રયત્નશીલ છે.
- Advertisement -
ચુંટણી ઓબ્ઝર્વર ડો. હીરાલાલ પટેલે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની સૈાજન્ય મુલાકાત દરમ્યાન યુનિ.નાં કૂલપતિ પ્રો. અતુલ બાપોદરાની પ્રકૃતિ-પર્યાવરણ અને જળસંરક્ષણ અંગે સંવાદ સાધ્યો હતો. આ તકે ડો. હીરાલાલ પટેલે ગુજરાતનાં ગામડા પર્યાવરણ સંવર્ધક બને અને ઈકો ફ્રેન્ડલી બની દેશ દુનિયા માટે મોડલ બની રહે અને પ્રત્યેક ઘરે ખુશીઓ નિખરે તે દિશામાં લખનઉ ખાતે ક્લાઈમેટ એકશન લીડર તરીકે થઇ રહેલ કાર્યની વિગતો ટાંકીને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં અને યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોનાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટીક મુક્ત ગુજરાત બને તે દિશામાં કાર્ય કરે તેવી વિનંતી કરી હતી. આ તકે ડો. પટેલે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી ઈકો ફ્રેન્ડલી કઇ રીતે બની રહેશે તે અંગે જાણકારી આપી હતી. ડો. હિરાલાલ પટેલની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની આ મુલાકાત દરમ્યાન કૂલપતિશ્રી પ્રો.(ડો.) અતુલ બાપોદરાએ યુનિ. દ્વારા કાર્યાન્વીત વિવિધ અભ્યાસક્રમો સાથે યુનિ. દ્વારા પર્યાવરણ સંવર્ધન દિશામાં થઇ રહેલ કાર્યોની જાણકારી આપી હતી.