તોડી પાડવામાં આવેલી દરગાહ પર ઉજવણી માટે મુસ્લિમ પક્ષે અરજી કરેલી, સુપ્રીમ કોર્ટે મંજૂરી ના આપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ ખાતે 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ’ઉર્સ’નું આયોજન કરવાની પરવાનગી માગવામાં આવી હતી. જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે. આ ઘણા દાયકાઓ પછી બનશે, જ્યારે સોમનાથ નજીક યોજાતો ઉર્સ યોજાશે નહીં. મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું હતું કે ઉર્સ વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ વહીવટીતંત્રે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. વકીલે કહ્યું હતું કે ત્યાં દલીલ એવી હતી કે ત્યાં કોઈ દરગાહ નહોતી. ઉર્સ માટે પરવાનગી માગનારા પક્ષ તરફથી હાજર રહેલા વકીલે જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને જણાવ્યું હતું કે રેકોર્ડ દર્શાવે છે કે 1960 સુધી અમુક શરતો સાથે પરવાનગી આપવામાં આવતી હતી અને દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ યોજાતો હતો. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષનો દાવો છે
કે આ દરગાહ 1299થી અસ્તિત્વમાં છે. એ એક સંરક્ષિત સ્મારક છે, પરંતુ હવે એને તોડી પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ જમીન 1951માં સરદાર પટેલ ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. એ વિસ્તારમાં બધા ધર્મોનાં બધાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે. એમાં એક મંદિર પણ છે. મુખ્ય કેસ હાલમાં હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. અજએ એમ પણ કહ્યું હતું કે અહીં કોઈ સુરક્ષિત માળખું નથી. ત્યાર બાદ કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી રજા અરજી ફગાવી દીધી. અગાઉ 27 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તે ત્રણ અઠવાડિયાં પછી વિવિધ અરજીઓ પર સુનાવણી કરશે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં રહેણાક અને ધાર્મિક બાંધકામોને પૂર્વ પરવાનગી વિના તોડી પાડવા બદલ ગુજરાત સત્તાવાળાઓ સામે તિરસ્કારની અરજીનો સમાવેશ થાય છે.