દેશમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બની
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
રિલાયન્સ ટાઇટન સહિત પાંચ મોટી કંપનીઓએ આ વર્ષે બાવન હજાર કર્મચારીઓની છટણી કરી દીધી છે. વધતી બેરોજગારી વચ્ચે નબળી માંગના કારણે રિટેલ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે.
પાંચ મોટી કંપનીઓએ વર્ષ 2023-24માં બાવન હજાર કર્મચારીઓને ઘેર બેસાડી દીધા છે. કંપનીઓના તાજા રિપોર્ટ મુજબ આ સંખ્યા પાંચ ફર્મોની સંયુક્ત શ્રમબળના 17 ટકા છે.
છટણી કરનારી કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ એકમ રિલાયન્સ રિટેલ ટાટા સમૂહની ટાઇટન, રેમન્ડ, પેજ ઇન્ડસ્ટ્રીઝ અને સ્પેન્સર સામેલ છે. કુલ છટણીમાં રિલાયન્સ રિટેલની ભાગીદારી સૌથી વધુ રહી છે. કંપનીએ ગત નાણાંકીય વર્ષ દરમ્યાન 38029 લોકોની છટણી કરી હતી.
- Advertisement -
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક રીપોર્ટ મુજબ રિલાયન્સ રિટેલના કર્મચારીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 2,07,552 રહી ગઇ, 2021-23 દરમિયાન કંપની પાસે 2,45,581 કર્મચારી હતા. ટાઇટનના કર્મચારીઓની સંક્યા 2022-23ના 26104થી ઘટીને 2023-24માં 17535 રહી ગઇ. આ રીતે કંપનીએ ગત વર્ષ દરમ્યાન 8569 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા, પેજ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓની સંખ્યામાં પણ 4117નો ઘટાડો જોવા મળ્યો છે.
2022-23માં કંપની પાસે 26781 કર્મચારી હતા. જેમની સંખ્યા 2023-24માં ઘટીને 22564 રહી ગઇ. બીજી બાજુ રિટેલર્સ એસો. ઓફ ઇન્ડિયાના સીઇઓ કુમાર રાજ ગોપાલને જણાવ્યું હતું કે જુલાઇ 2024માં રિટેલ ક્ષેત્રના વેચાણમાં એક વર્ષ પહેલાની તુલનામાં 2 ટકાની મામૂલી વૃધ્ધિ નોંધાઇ છે.
એક ડઝન સૂચિબદ્ધ, લાઇફ સ્ટાઇલ, ગ્રોસરી રિટેલર્સ અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સે ગત વર્ષે પોતાના શ્રમબળમાં 26000 કર્મીઓની છટણી કરી છે. આ રિટેલ વિક્રેતાઓ પાસે 2022-23માં કુલ 4.55 લાખ કર્મચારીઓ હતા જેની સંખ્યા 2023-24માં ઘટીને 4.29 લાખ થઇ ગઇ હતી.