આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું-‘હડતાળ સમેટાય તો જ ચર્ચા શક્ય, બાકી નહીં’, માગણીઓને લઈ હડતાળનો 11મો દિવસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ 11મા દિવસે પણ યથાવત્ રહી છે. સરકારે કડક વલણ અપનાવતા આઠ જિલ્લામાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે. વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યકર્મચારીઓએ જે માગણીઓ આપી હતી, એમાંથી એક માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી. એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય. એ બાબતે સરકાર પણ કડડ જ છે. કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી.
આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. તેમને હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર સાંખી લે એમ નથી. વર્ષ 2021માં પણ કર્મચારીઓએ હડતાળ કરી હતી ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરીને તેમના કેટલાક મુદ્દાઓનું નિવારણ લાવ્યું હતું, એટલે ચર્ચાના અંતે કોઇપણ વસ્તુંનું નિવારણ આવતું હોય છે.
મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્યકર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કર્મચારીઓને આશ્ર્વાસન આપ્યું છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરાવવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી છે. સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓએ મક્કમ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
- Advertisement -
સરકાર દ્વારા ‘એસ્મા’ એક્ટ લાગુ કરાયો
આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાય છે. આ અંગે ગત ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે. ઉલ્લેખનીય છે કે, 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઊતર્યા છે.