ફળ-ફરાળી વસ્તુના ભાવમાં વધારો
ફરાળી તૈયાર વાનગીના ભાવમાં પણ 30થી 40%નો વધારો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણમાં ઉપવાસ કરવા મોંઘા – મુશ્કેલ પડે એટલી હદ સુધી ફ્ળો અને ફરાળી ચીજવસ્તુ મોંઘી થઇ ગઈ છે. તૈયાર વાનગીઓના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો ઝીંકયો છે. વડા કિલો લેખે મળે તેમાં કંઈ ફર્ક નથી પડતો પરંતુ વેપારીઓએ પ્લેટમાં અપાતા વડા ઘટાડી નાખ્યા છે. અગાઉ ચારથી પાંચ વડા અપાતા હતા તે ઘટાડીને હવે ત્રણ નંગ કરી નાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ વડાના ભાવોમાં રૂ.40થી 60 સુધીનો વધારો થયો છે. ફરાળી ખીચડી પહેલા રૂ.260ની કિલો મળતી હતી તે અત્યારે રૂ.320થી 380ની કિલો મળી રહી છે. ઉપરાંત વિવિધ ફરાળી બિસ્કિટો, ફરાળી પાત્રા સહિતની વસ્તુઓ બજારમાં વેચાણમાં મુકવામાં આવી છે. પરંતુ જંગી ભાવ વધારાના પગલે ફ્ળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડી રહી છે.
આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી રહ્યો છે. બજારમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજવસ્તુઓ અને ફ્ળોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જેના પગલે ફરાળી વાનગીઓ પણ મોંઘી થઈ છે. ફરાળી ચીજ વસ્તુઓના કિલોના ભાવની વાત કરીએ તો સાબુદાણાના કિલોના ભાવ રૂ.85થી રૂ.90, રાજગરા લોટના રૂ.190થી રૂ.200, સિંગદાણા રૂ.150, સામો રૂ.110 અને જીરુંના ભાવ રૂ.700 છે. ફરાળી ચીજ વસ્તુ સાથે એલચી, વરિયાળી, મરી મસાલા અને તેજાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. શ્રાવણ મહિનામાં ફ્ળો પણ મોંઘા થયા છે. જે કેળા રૂ.50 ડઝનના મળતા હતા તે કેળાના ડઝનના ભાવ હાલ રૂ.90 છે. સફરજનના કિલોના ભાવ રૂ.200, પેરૂ રૂ.100, રાસબરીના કિલોના ભાવ રૂ.150 છે. ફરાળી ચીજવસ્તુ અને ફ્ળોના ભાવ બમણા થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે. વેપારીઓનું માનીએ તો દરેક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને અછતના કારણે ભાવ વધી રહ્યા છે. વેફ્ર્સ, ફરાળી, પેટીસ અને ફરાળી ચેવડાના રો મટિરિયલ્સમાં 20થી 30 ટકાનો વધારો થયો છે.