હિંસા ફેલાવનારાઓને દેખો ત્યાં ગોળી મારવાનો આદેશ!
ખાસ-ખબર સંવાદદાતા
શ્રીલંકામાં ગૃહ યુદ્ધની સ્થિતિ સતત વધી રહી છે. મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ દેશની સ્થિતિ વધુ વણસી રહી છે. રાષ્ટ્રપતિ શાસન વચ્ચે રસ્તાઓ પર તોફાનીઓનું ખુલ્લું રાજ છે અને જાહેર સંપત્તિને સતત નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે સ્થળ પર શૂટ કરવાનો આદેશ આપ્યો છે. એટલે કે હવે જો કોઈ તોફાની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતો જોવા મળશે તો તેને સ્થળ પર જ ઠાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સોમવારે શ્રીલંકાના ઘણઆ શહેરોમાં હિંસા થઈ હતી, જેમાં એક સાંસદ સહિત 5 લોકો માર્યા ગયા હતા, જ્યારે પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના ઘરને તોફાનીઓએ આગ લગાવી દીધી હતી. ગઈકાલની હિંસામાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે. મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ હિંસા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિંસા કરનારાઓ મહિન્દા રાજપક્ષેના સમર્થક છે. શ્રીલંકામાં હિંસક પ્રદર્શનો વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ સોશિયલ મીડિયા દ્વારા વિરોધીઓને અપીલ કરી છે કે તેઓ આવી હિંસક ઘટનાઓ ન કરે અને શાંતિ
જાળવી રાખે.
રાષ્ટ્રપતિ રાજપક્ષેનો પરિવાર જીવ બચાવી કોલંબોથી ભાગ્યો!
શ્રીલંકા હાલમાં તેની સ્વતંત્રતાના ઇતિહાસમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ચારેબાજુ તોફાનો અને હિંસાનું વાતાવરણ છે. આ દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેનો પરિવાર શ્રીલંકાની રાજધાની કોલંબોથી ભાગી ગયો છે. તેઓ અત્યારે ક્યાં છે તેની માહિતી ઉપલબ્ધ નથી. આને લગતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાષ્ટ્રપતિના પરિવારને હેલિકોપ્ટરમાં બેઠેલા જોઈ શકાય છે. તે ક્યાં ગયા છે તે હજુ જાણી શકાયું નથી.