નિયમ ભંગ બદલ શાળા પર દંડ-માન્યતા રદ્દ સહિતની આકરી જોગવાઈ
વિધાનસભામાં બિલ પાસ: ખરડામાં છેલ્લી ઘડીએ કેટલાંક સુધારા કરાયા: કોઈપણ બોર્ડ સાથે જોડાયેલી અને લઘુમતી સહિત તમામ શાળાઓને નિયમ લાગુ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવાનું ફરજીયાત કરતુ વિધેયક આજે વિધાનસભામાં રજૂ કરતાં સર્વાનુમતે બિલ પાસ થયું હતું. જેમાં કાયદા-નિયમભંગ બદલ શાળાઓની માન્યતા રદ કરવા, દંડ ફટકારવા સહીતની જોગવાઈઓ કરવામાં આવી છે. જોકે વિધેયક રજુ કરાયા પૂર્વે છેલ્લી ઘડીએ અમુક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા.
રાજ્યનાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા આજે વિધાનસભામાં ફરજીયાત ગુજરાતી ભાષાનાં શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક-2023 રજુ કરવામાં આવ્યું હતું. વિધેયકની જોગવાઈ પ્રમાણે તમામ શાળાઓમાં ધો.1 થી 4 ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજીયાત કરતી જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમનો ભંગ કરતી શાળાઓને દંડ ફટકારવાની તથા માન્યતા રદ્દ કરવા સુધીના પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. લઘુમતી સહિત તમામ ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને પણ તે લાગુ પડશે. એટલુ જ નહિં ગુજરાત કે અન્ય કોઈપણ શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓને લાગુ પડશે.
આ વિધેયક તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડનાં અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ કેટલીક ભુલ રહી જતાં છેલ્લી ઘડીનાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ધો.4 થી 8 ગુજરાતી વિષય ભણાવવાનો અમલ કરવા વિશે અસ્પષ્ટ જોગવાઈ હોવાનું ધ્યાનમાં આવતા 1લા ધોરણથી જ અમલ કરવાની ચોખવટ કરતી જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી હતી. આ સિવાય શિક્ષણ બોર્ડ, શાળાઓ વગેરેના મુદ્દે પણ સ્પષ્ટ શબ્દોલ્લેખ કરાયા હતા.
- Advertisement -
ગુજરાતમાં અનેક શાળાઓ ગુજરાતી વિષય ભણાવતી ન હોવાના મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો અદાલત સુધી પણ પહોંચ્યો હતો. જેને પગલે ખુદ સરકારે જ પહેલ કરીને ગુજરાતી વિષય ફરજીયાત કરતો કાયદો ઘડીને વિધેયક આજે વિધાનસભામાં પેશ કર્યું હતું.



